Tuesday 25 December 2012

CHAMPAKLAL GURU

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शांतिः शांतिः शांतिः ॥
ઉપનિષદમાં શાંતિપાઠ પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે, એનું મહત્વ અનોખું છે. પ્રત્યેક ઉપનિષદનો આરંભ અને અંત શાંતિપાઠથી જ થતો હોય છે. સંસારમાં મનુષ્ય સૌથી વધારે શાંતિને ચાહે છે. તેવી રીતે પહેલાં પણ ચાહતો એની પ્રતીતિ વેદ અથવા ઉપનિષદના શાંતિપાઠ પરથી સહેલાઇથી થઇ રહે છે. એટલે તો એણે શાંતિપાઠની રચના કરી છે. શાંતિપાઠમાં પરમાત્માનું સ્મરણ છે અને કેટલીક હૃદયસ્પર્શી સદભાવનાઓના પ્રતિઘોષ પડેલા છે. વેદ અને ઉપનિષદના પ્રાતઃસ્મરણીય પરમાત્મદર્શી ઋષિવરો પોતાના સ્વાનુભવના આધાર પર કહી બતાવે છે કે શાંતિ અથવા પરમશાંતિની પ્રાપ્તિ પરમાત્મા સાથેના પ્રત્યક્ષ સંબંધની પ્રસ્થાપના સિવાય ના થઇ શકે. એ સંબંધની પ્રસ્થાપના માટે તન, મન, તથા વચનનો સંયમ આવશ્યક છે. આત્મસંયમ અને આત્મશુદ્ધિ સિવાય આત્મદર્શન ના થઇ શકે અને આ આત્મદર્શન અથવા આત્માનુભૂતિ સિવાય સનાતન શાંતિની ઉપલબ્ધિ આકાશકુસુમવત્ અશક્ય રહે છે. શાંતિની પ્રાપ્તિ માટે ભૌતિક પ્રદેશમાં પ્રયત્ન કરનારા માનવે આભ્યંતર ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવો જોઇએ. એવા પ્રવેશ સિવાય શાંતિની યાત્રા અધૂરી રહી જાય.
આ શાંતિપાઠમાં પરમાત્મા તથા જગત વિશેનાં ચિંતન, મનન અને નિદિધ્યાસનનો અનુભૂતિપૂર્ણ ઉદગાર સમાયેલો છે. એ ઉદગારને લક્ષમાં લેવા જેવો છે. જે જગત આપણી આજુબાજુ બધે જ પથરાયેલું છે, જેને આપણે અવલોકી અથવા અનુભવી રહ્યા છીએ તે જડ તત્વો કે પદાર્થોનો સંઘાત છે અને અપૂર્ણ છે એવી માન્યતા મોટેભાગે પ્રચલિત છે. એ માન્યતાના ઉપલક્ષમાં એક અવનવીન વિશિષ્ટ વિચારધારાની રજૂઆત કરતાં અહીં સૂચવવામાં આવે છે કે જગત જડ નથી. એ ઉપરથી જોતાં જડ જણાતું હોય તોપણ અંદરથી ચિન્મય છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ દ્રષ્ટિથી એનું દર્શન કરતાં એ ચૈતન્યના પરમ પારાવાર જેવું જ લાગે છે. એ ઉપરાંત એને અપૂર્ણ કહેવું એ બરાબર નથી, અજ્ઞાનની અર્ઘદગ્ધ દશામાં એ અપૂર્ણ ભાસે છે ખરું, પરંતુ પરમ જ્ઞાનાભૂતિની પરિપૂર્ણ પાવન અલૌકિક અવસ્થામાં પૂર્ણ જ લાગે છે. એ વિચાર વિસ્મયકારક હોવા છતાં સાચો છે અને શાંતિપાઠ એને નિર્ભીક રીતે સહજતાપૂર્વક પ્રતીતિજનક રીતે રજૂ કરે છે.
શાંતિપાઠ સંક્ષિપ્ત છતાં સારગર્ભિત છે. એના ભાષા સીધીસાદી હોવાં છતાં ગહન છે. એની પાછળ બૌદ્ધિક પ્રતિભાનું પ્રગલ્લભ પીઠબળ નથી. પરંતુ વરસોની સાધનાના સુપરિણામે સાંપડલી સ્વાનુભૂતિનો રણકાર છે. એમાં કોઇપણ પ્રકારની શંકા-કુશંકા વિના સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે પરમાત્મા પૂર્ણ છે અને આ જગત કે બ્રહ્માંડ પણ પૂર્ણ જ છે. પરમાત્મા પૂર્ણ છે એ વિધાનમાં તો કોઇને શંકા ના હોઇ શકે. પરિપૂર્ણતા એટલે જ પરમાત્મા એવું કહીએ તો પણ ચાલે. પરમાત્મા સચ્ચિદાનંદ છે અને એમની અંદર કોઇપણ પ્રકારની અપૂર્ણતા નથી હોતી. જે અપૂર્ણ હોય એને પરમાત્મા કહી શકાય જ નહિ; કોઇક બીજું નામ ભલે આપી શકાય. પરમાત્મા જ્ઞાનની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ અને યોગ્યતા અથવા વિકાસની દ્રષ્ટિએ પૂર્ણ છે. પરંતુ જગતને એવી રીતે પરિપૂર્ણ કહી શકાય ? હા. પરમાત્મા જ સર્વના મૂળમાં છે; પરમાત્મા સિવાય બીજું કશું પણ નહોતું અને નથી, તો પછી જગત પરમાત્માથી અલગ હોવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે ? જગત પ્રકારાંતરે પરમાત્મા જ છે, એની અંદર-બહાર અને એના રૂપમાં જે કાંઇ દેખાય છે તે પરમાત્મા જ છે, એ પરમાત્માનું જ સ્વરૂપ છે, એવું માનવું-મનાવવું બરાબર જ છે. સુવર્ણના અલંકારોને અલંકારોનું નામ આપીએ કે સુવર્ણ કહીએ બધું એક જ છે. એ પ્રમાણે જગતને જગત કહીએ કે પરમાત્માના પ્રતીક તરીકે ઓળખીએ, પરમાત્માનું સ્વરૂપ સમજીએ, બધું સરખું જ છે. જગતના રૂપમાં પરિપૂર્ણ પરમાત્મા પોતે જ પોતાની લીલા કરી રહ્યા છે.
પરમાત્મા પૂર્ણ છે, જગત પણ પૂર્ણ છે, અને પરિપૂર્ણ પરમાત્મામાંથી આ પૂર્ણ જગતનું પ્રાકટ્ય થાય છે, એ વાતનો વિચાર એક બીજી રીતે પણ કરી લઇએ. સમુદ્ર સ્વયં સંપૂર્ણ છે, એવી અંદર ઉત્પન્ન થતા તરંગો એનાથી જુદા નથી એટલે પૂર્ણ જ છે. એમના સ્વરૂપમાં સમુદ્ર જ દેખાય છે. એવી રીતે જગતના રૂપમાં પણ પરમાત્મા જ પ્રતીત થાય છે.
સંપૂર્ણ સમુદ્રમાંથી થોડું કે વધારે પાણી લઇ લઇએ તો સમુદ્રને હાનિ પહોંચતી નથી. સમુદ્ર તો એવો જ સુવિશાળ રહે છે. જગતના સર્જન અને વિસર્જનની ક્રિયાથી પરમાત્માને પણ એવી જ રીતે કોઇ પણ પ્રકારની હાનિ પહોંચતી નથી. એમની અંદરથી સૃષ્ટિનું સર્જન થાય તોપણ એ અપૂર્ણ નથી બનતા પરંતુ પૂર્ણ જ રહે છે.
શરીરની, મનની અને અંતરની ત્રિવિધ શાંતિની માનવને ઝંખના હોય છે. જીવનની પરિપૂર્ણતા, સ્વસ્થતા અને શાંતિ માટે એ ત્રણે પ્રકારની શાંતિની આવશ્યકતા હોય છે. એ ત્રિવિધ શાંતિને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક શાંતિ પણ કહે છે. શાંતિપાઠમાં એની કામના કરવામાં આવી છે. ભૌતિક પરિસ્થિતિનો પ્રભાવ માનવના ચિત્તતંત્ર પર અતિશય પ્રબળપણે પડતો હોય છે. દૈવી સંકેતો, ઉત્પાતો કે પ્રસંગો પણ એને અસર પહોંચાડે છે, અને એ આત્મિક રીતે, અવિદ્યાને લીધે દુઃખી, અસ્વસ્થ અથવા અશાંત રહ્યા કરે છે. એ ત્રણે પ્રકારની અશાંતિમાંથી મુક્તિને માટે અહીં પ્રાર્થના કરવામાં આવી છે. પરિસ્થિતિ માનવની ઇચ્છાને અનુકૂળ ના થાય તોપણ માનવને અસ્વસ્થ તો ના જ કરે અને ચલાયમાન ના બનાવે, એની વચ્ચે વસીને પણ માનવ પોતાની આત્મસ્થ શાંતિને અખંડ રાખે એ ઇચ્છવા જેવું છે. આપણે પણ એવી અખંડ અલિપ્તાવસ્થાને મેળવવા પ્રાર્થના કરીએ.
ॐ ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ॥१॥
ઇશાવાસ્ય ઉપનિષદનો આ પ્રથમ મંત્ર એની અસાધારણ ભાવમયતા, અર્થઘનતા અને અસરકારકતાને લીધે સવિશેષ નોંધપાત્ર છે. એમાં સમાયેલો સંદેશ જીવનને માટેનો અને જીવનોપયોગી છે. એ સંદેશ વર્તમાન માનવજીવન અને જગતથી છૂટાછેડા લેવાની વાત નથી કરતો, જીવન કે જગતને અભિશાપરૂપ માનવાનું કે ધિક્કારવાનું નથી શીખવતો, જીવનને એક અશાંતિજનક અસહ્ય બોજો નથી માનતો, અને જીવન તથા જગતનો સંબધવિચ્છેદ કરીને એમના પરિત્યાગની પ્રેરણા નથી પૂરી પાડતો. એની સાથે જીવન અને જગતની મોહવૃતિ અથવા આંધળી આસક્તિનો પાઠ પણ નથી શીખવતો. જીવન અને જગતનો તિરસ્કાર ઉચિત નથી તેમ રાગ પણ નકામો છે.  જીવન ઇશ્વરનો અમૂલખ ઉપહાર છે અને સંસાર એમનું સરસ સવિશિષ્ટ સુધામય સર્જન. એ બંનેની સાથે આપણો એક અથવા બીજા કારણે સંબધ થયેલો જ છે તો તેમની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને એમનો લાભ લઇને આત્મવિકાસને માર્ગે આગળ વધવાની આવશ્યકતા છે. એને માટે વિવેકપૂર્વક જીવવાની કળામાં કુશળ થવું જોઇએ.
આપણે ત્યાં જુદીજુદી જાતના કેટલાય યોગો પ્રચલિત છે. હઠયોગ, રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, કુંડલિનીયોગ, મંત્રયોગ, નાદાનુસંધાનયોગ - એ બધા નામો આપણે સાંભળ્યા છે, પરંતુ જીવનનું કલ્યાણ કરનારો, જીવન જીવવાની કળા શીખવનારો અને જીવનને જ્યોતિર્મય બનાવવાની શક્યતાવાળો એક બીજો યોગ છે. એને જીવનયોગ કહી શકાય. એના નામથી આપણે પરંપરાગત રીતે પરિચિત ના હોઇએ અથવા ધર્મગ્રંથોમાં એનું નામ ના મળતું હોય તોપણ જીવનયોગ એક અત્યંત અગત્યનો યોગ છે અને એની આવશ્યકતા સૌ કોઇને છે. એ યોગ બીજા પરંપરાગત પ્રવર્તમાન યોગો કરતાં લેશ પણ ઉતરતો નથી. એ યોગની જરૂરી સમજ ના હોવાને લીધે જ જીવન બોજારૂપ બની જાય છે, અમંગલ અથવા અવજ્ઞાકારક થાય છે, અને એનો વિશિષ્ટ લાભ નથી મળતો. મોટા ભાગનાં મનુષ્યો જીવન જીવે છે ખરાં પરંતુ જીવનયોગથી અનભિજ્ઞ રહીને. પરિણામે જીવન એમને માટે ને બીજાને માટે દુઃખદ બની જાય છે. એ સુખદ તથા સર્વમંગલનું સાધન નથી બની શકતું. એનો સુયોગ્ય સર્વાંગીણ વિકાસ નથી થતો. આ શ્લોકમાં જીવનને જ્યોતિર્મય કરનારા, સુખ-શાંતિ-સમુન્નતિથી સંપન્ન બનાવનારા એ જીવનયોગનું સંક્ષિપ્ત છતાં વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. એને સમજીને એનો સમુચિત આશ્રય લેવામાં આવે તો જીવનમાં આજે જે જડત્વ, નીરસતા, અસ્વસ્થતા, વિસંવાદિતા તથા કલેશકારકતા દેખાય છે તે દૂર થાય અને અવનવી ચેતના તથા પ્રસન્નતા ફરી વળે. માનવ આજે અસંતુષ્ટ, અશાંત અને દુઃખી છે અને બીજાને દુઃખી કરી રહ્યો છે એનું એક મોટામાં મોટું કારણ એ પણ છે કે એની પાસે જીવન જીવવાની આદર્શ ઉદાત્ત દ્રષ્ટિ નથી અને વિશદ વિશાળ વૃતિ નથી. એ ઉભયનો અભાવ મોટેભાગે એને સાલતો નથી. એને બદલે એ ઉભયથી એ સંપન્ન થાય તો એની અને બીજાની કેટલીય સમસ્યાઓ ટળી જાય અથવા એમનું સુખદ સમાધાન થાય. એ સંદર્ભમાં વિચારતાં ઉપનિષદમાં આ શ્લોકનું મહત્વ ઘણું મોટું છે.
જીવન જીવવાની કિમતી કળા પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં અહીં કહેવામાં આવે છે કે तेन त्यक्तेन भुञ्जीथाः । સંસારમાં જે કાંઇ છે, જે કાંઇ દેખાય છે કે અનુભવાય છે તેને ત્યાગભાવથી ભોગવતા રહો. ઋષિએ ભોગવવાની ના કહી, જીવન અને જગતથી દૂર નાસી જવાનું નથી જણાવ્યું, પરંતુ ત્યાગભાવે ભોગવવાની પ્રેરણા પૂરી પાડી છે. ત્યાગભાવે ભોગવવું એટલે ? એક રાગભાવે ભોગવવાનું હોય છે અને બીજું ત્યાગભાવે. બંનેમાં આભજમીનનો, ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેટલો તફાવત હોય છે. રાગભાવથી ભોગવવામાં અહંતા, મમતા, મોહવૃતિ, વિષયાસક્તિ, સ્વાર્થભાવના અને એ સૌની મૂળ માતા અવિદ્યા હોય છે. એવા ઉપભોગમાં ઘેન ચઢે છે ને ભાન ભૂલાય છે. એમાં માનવ પોતાનો જ વિચાર કરે છે ને પોતાને જ મહત્વનો માને છે. એને માટે બીજું બધું જ ગૌણ બની જાય છે. એ પોતાની જ સુખ-શાંતિ-સમૃદ્ધિ તથા સમુન્નતિના જપ જપે છે. એને માટે બીજાને સોસવું પડે તોપણ એને એ નથી સાલતું. એવા માનવો અવનીમાં આતંક ફેલાવે છે અને અશાંતિ તથા અવ્યવસ્થા ઉભી કરે છે. એથી ઉલટું ત્યાગભાવથી ભોગવવામાં નમ્રતા, નિર્મમતા, નિર્મોહવૃતિ, વિષય પ્રત્યેની ઉપરામતા અથવા અનાસક્તિ, નિસ્વાર્થભાવના અને પરમપાવની પ્રજ્ઞા હોય છે. ત્યાગભાવથી ભોગવનારને ભોગવવાનો નશો નથી ચઢતો. એ ભાન પણ નથી ભૂલતો. એની પાસે જે છે તેને એ પરમાત્માનો પ્રસાદ માનીને ભોગવે છે. એ કશાનો માલિક નથી બનતો. એ બીજાનો વિચાર પણ કરતો હોય છે. બીજાની સુખશાંતિ, સમૃદ્ધિ અને સમુન્નતિનો અને એને સાકાર કરવાની સાધના કરે છે. એવી પરહિતને માટેની સાધનામાં કદાચ પોતાની વ્યક્તિગત સુખાકારી, શાંતિ તેમજ સમૃદ્ધિનો ભોગ આપવો પડે તોપણ એવો ભોગ આપવા પ્રસન્નતાપૂર્વક તૈયાર રહે છે. જગતના જુદાજુદા રૂપરંગાત્મક વાતાવરણની વચ્ચે વસીને પોતાની જીવન ધ્યેયને સતત રીતે યાદ રાખે છે અને એની પરિપૂર્તિના પ્રયત્નોમાં નિરંતર મક્કમતાપૂર્વક મશગૂલ રહે છે.
જગતમાં પોતાને માટે જીવનારા અને બીજાને માટે જીવનારા એવા બે પ્રકારના માનવો જોવા મળે છે. એમાંથી કૂતરા જેવા ને બીજાને કાગડા જેવા કહી શકાય. કૂતરાને જ્યારે રોટલો નાખવામાં આવે છે ત્યારે એ પોતાના પગ નીચે દબાવી રાખે છે, આજુબાજુ બધે જુએ છે, અને બીજું કોઇ કૂતરું નથી આવતું એની ખાતરી થતા ખાવા માંડે છે. બીજું કોઇક કૂતરું આવે તો રોટલાના ટુકડાને પગ નીચે દબાવીને એની સામે ભસવા માંડે છે, લડે છે, અને એ દૂર જાય ત્યારે જ જંપે છે. કૂતરું આમ તો વફાદાર હોય છે પરંતુ એનામાં સાથે મળીને ખાવાની, ત્યાગભાવથી ભોગવવાની વૃતિ તથા પ્રવૃતિનો અભાવ દેખાય છે. કાગડાની કથા એનાં કરતાં જૂદી જ હોય છે. એ શું કરે છે ? એની આગળ કોઇપણ પ્રકારનો ખોરાક નાખવામાં આવે એટલે એકલપેટાપણાનો ઉપદેશ એને ગળથૂથીમાંથી જ ન આપવામાં આવ્યો હોય એમ એ પોતાના જ્ઞાતિબંધુ જેવા બીજા કાગડાઓને બોલાવવા કાગ કાગ કરી મૂકે છે. અને બીજા કાગડાઓ એની આગળ એકઠા થાય છે પણ કોઇપણ પ્રકારના વિરોધ કે તજજન્ય ઘર્ષણ સિવાય શાંતિથી સંપીને આરોગે છે. કાગડાની બીજી વૃતિઓ કદાચ ખરાબ હશે કિન્તુ સાથે મળીને ખાવાની એ નિઃસ્વાર્થ સામાજિક વૃતિ આદરણીય, અભિનંદનીય અને અનુકરણીય છે. માનવે એમાંથી બોધપાઠ લઇને નક્કી કરવાનું છે કે પોતાના જીવનમાં ક્યી પ્રકારની વૃતિ કે પ્રવૃતિ કેળવવી છે, કૂતરા જેવી સ્વાર્થવૃતિ કે કાગડા જેવી સામાજિક સર્વ શ્રેયસ્કરી પરાર્થવૃતિ ? ઉપનિષદ કહે છે કે એણે ત્યાગવૃતિને અથવા પરહિતનું ધ્યાન રાખીને અનુભવાતી ભોગવૃતિ કેળવવી જોઇએ, એવી ભોગવૃતિ વિશુદ્ધ આત્મબલિદાન સાથે ભળીને એનું અધઃપતન નહીં આદરે પરંતુ એનું ને સમાજનું કલ્યાણ કરશે.
એ બંને વૃતિઓ કરતાં વિલક્ષણ એવી એક ત્રીજી વૃતિ તથા તજજન્ય પ્રવૃતિ પણ માનવની અંદર રહેલી છે. એ વૃતિ તથા પ્રવૃતિ અત્યંત વિરલ હોવા છતાં વાસ્તવિક છે અને કોઇકોઇવાર એનો પરિચય પ્રાપ્ત થાય છે. એ વૃતિવાળો માનવ બીજાની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ કે સમુન્નતિને વિશેષ મહત્વ આપે છે એટલું જ નહીં પરંતુ એથી આગળ વધીને એને માટે પોતાની વ્યક્તિગત સુખાકારી, શાંતિ કે સમૃદ્ધિનું અને કોઇકોઇવાર જીવનનું પણ બલિદાન આપવું પડે તો આપવા તૈયાર રહે છે. અને હસતાં હસતાં આપે છે. પોતાની જાતને બીજાને માટે ખપાવી દે છે. ભારતીય સંસ્કૃતિએ એ સંદેશ આપ્યો છે. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે. એ વિશેષતાને જીવનમાં સંમિશ્રિત કરવાનું કે વણવાનું કઠિન લાગે તોપણ ઉપનિષદના ત્યાગીને ભોગવવાના આદેશનું અનુસરણ તો કરવું જ ઘટે. એ આદેશનું અનુસરણ જો સર્વકોઇ કરે તો સમાજની સૂરત બદલાઇ જાય.
ત્યાગભાવથી ભોગવવાનો અર્થ મમતા અને આસક્તિને પરિત્યાગીને વસ્તુને ઇશ્વરનો પ્રસાદ માનીને ભોગવવાનો છે. જગતમાં અને જગતના રૂપમાં જે કાંઇ છે તે બધું જ ઇશ્વરનું છે અને ઇશ્વરની એ મિલ્કતને પોતાની માનીને એમાં મમત્વ કરવાનું બરાબર નથી. જે ઇશ્વરનું અને ઇશ્વરે આપેલું છે તે ધન તેમજ જીવન ઇશ્વરની જ સેવા, પ્રસન્નતા અને ઇશ્વરના જગતની સુખાકારી માટે વપરાય તેમાં જ તેની શોભા, સફળતા કે સાર્થકતા સમાયેલી છે. જગતમાં અને જગતના રૂપમાં જે કાંઇ જોવાય છે કે અનુભવાય છે તે પરમાત્માનું જ સ્વરૂપ છે. પરમાત્મા તેમાં રહેલા છે. તે બધું પરમાત્માથી પરિપ્લાવિત અથવા ઓતપ્રોત છે. એવી રીતે જ એનું અવલોકન કરવું જોઇએ. સૌની અંદર અને સર્વત્ર પરમાત્માનું દર્શન કરવામાં આવે તો ભેદભાવ, ભય, મોહ, રાગ, દ્વેષ અને મિથ્યાભિમાન મટી જાય. જીવન પ્રેમથી પુલકિત, પ્રસન્ન અને પવિત્ર થાય. જે સર્વત્ર પરમાત્માદર્શન કરે છે તે જગતના બહિરંગ દર્શનથી સંમોહિત થયા ને ભાન ભૂલ્યા વિના, વિવિધ નામરૂપાત્મક જગતમાં રહેલી અંતરંગ એકતાને અનુભવે છે. એનું જીવન શાંત અને સંવાદી બને છે.
कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतँ समाः ।
एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ॥२॥
ધન ભોગૈશ્વર્ય, સંપત્તિ અને આ જડચેતનાત્મક સમસ્ત જગત પર કોઇ પણ માનવનો એકાધિકાર નથી. એ બધું પરિવર્તનશીલ અથવા અસ્થાયી છે. પાણીના પરપોટાની પેઠે એક દિવસ પ્રકટીને ફૂટી જવાનું છે. ફૂલની પેઠે ખીલીને કરમાઇ જવાનું છે. સરિતાની પેઠે સલિલથી છલકાઇને છેવટે સુકાઇ જવાનું છે. કોઇક સુકોમળ પત્રની ઉપર ઝાકળનું જલબિંદુ પડે, થોડુંક ઠરે ને ખરી પડે તેમ ક્ષણ બે ક્ષણ રહીને ખરી પડવાનું છે. ધીરા ભગતે એ જ સંદર્ભમાં ગાયું છે કે -
ઝાકળજળ પળમાં વહી જાશે જેમ કાગળમાં પાણી;
કાયાવાડી તારી એમ કરમાશે થઇ જાશે ધૂળધાણી.
પાછળથી પસ્તાશે રે મિથ્યા કરી મારું મારું;
મન તુંહી તુંહી બોલે રે આ સપના જેવું તન છે તારું;
અચાનક ઊડી જાશે રે જેમ દેવતામાં દારૂ.
છતાં પણ એવું જાણીને માનવે નિરાશ નથી થવાનું. સ્મશાન-વૈરાગ્યને કેળવીને હતોત્સાહ નથી બનવાનું, અને જીવનના રસને ખોઇ પણ નથી નાખવાનો. જીવનનો સાચો આનંદ આસક્તિને લીધે નહિ જન્મે, અનાસક્તિમાંથી જ પ્રાદુર્ભાવ પામશે. વાસ્તવિક રસ મમત્વમાંથી નહીં પ્રકટે, નિર્મમતામાંથી જ ઊગી નીકળશે. ચિરસ્થાયી અથવા અક્ષય ઉત્સાહ અવિવેક અથવા મોહમાંથી નહિ પ્રકટે, વિવેક અને નિર્મોહમાંથી જ પ્રકટી શકશે. જીવનની ચંચળતા અને જગતની પરિવર્તનશીલતાનું જ્ઞાન થયા પછીથી જીવનનો સાચો અક્ષય આનંદ પેદા થશે. એ પછી અનાસક્તિપૂર્વક વધારે સારી રીતે જીવી શકાશે. આ શ્લોક એની સાક્ષી પૂરે છે.
વેદમાં शतं जीवेम शरदः । शतं पश्येम शरदः । शतं श्रुणुयाम शरदः । शतं प्रब्रवाम शरदः । शतमदीनाः स्याम शरदः । शतं भूयश्च शरदः शतात । અર્થાત્ 'અમે સહુ શરદઋતુ સુધી જીવીએ, સો શરદઋતુ સુધી જોઇએ, સાંભળીએ તથા બોલીએ, સો શરદઋતુ સુધી દીન બનવાને બદલે સુખી તથા સમૃદ્ધ રહીએ, એને એવી રીતે બીજી સો શરદઋતુ સુધી જીવતા રહીએ.' એવું કહીને જીવન પ્રત્યેના પ્રેમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ક્યાંય જીવનને તિરસ્કારવાનો કે નગણ્ય સમજવાનો સંકેત નથી મળતો. વેદની એ વિચારધારાને અનુસરીને આ શ્લોકમાં સૂચવવામાં આવ્યું છે કે માનવે જગતની પરિવર્તનશીલતાને સમજ્યા પછી પણ દીર્ઘાયુ થવાનો, સો વરસ સુધી શ્વાસ લેવાનો અથવા સારી પેઠે જીવવાનો સંકલ્પ કરવો જોઇએ. માનવ શરીરનો મહિમા ખૂબ જ મોટો છે. એ શરીરમાં પ્રવેશવાનો અવસર મેળવવો એ એક સર્વોત્તમ સૌભાગ્ય છે. અલબત્ત, જો એને ઓળખી શકાય તો. એ સુંદર પરમાશ્ચર્યકારક શરીર દ્વારા પ્રખરમાં પ્રખર પુરુષાર્થ કરીને પોતાનું ને બીજાનું હિત સાધી શકાય છે અને જીવન-મુક્તિના મંગલમય મંદિર-દ્વારને ખોલી દેવાય છે. માટે જ એને શ્રયસ્કર સમજવામાં આવે છે. એની મદદથી સત્કર્મોનું અનુષ્ઠાન કરવું જોઇએ. ડગલે ને પગલે જાગૃતિપૂર્વક જીવીને જીવન વિકાસના માર્ગે મક્કમતાપૂર્વક આગળ વધવું જોઇએ. કેવળ કર્મના નહિ પરંતુ સત્કર્મોના મહિમાને સમજવો જોઇએ. આ જીવનમાં અનેક પ્રકારની શક્યતાઓ પડેલી છે. તેમને બહાર કાઢવાનો અને વિકસાવવાનો બને તેટલો બધો જ પુરુષાર્થ કરી છૂટવો જોઇએ. પ્રમાદી પુરુષો કશું જ કરી શકતા નથી. એટલે પ્રમાદને પરિત્યાગીને જીવનને ઇચ્છાનુસાર આકાર આપવા માટે આગળ વધવાની આવશ્યકતા છે.
કર્મોને એટલા માટે નથી કરવાનાં કે એમની મદદથી પરલોક અથવા જન્માંતરને સુધારી શકાય. પરલોકને અથવા જન્માંતરને સુધારવાની ભાવના-વૃતિ તથા પ્રવૃતિ છે તો સારી, પરંતુ એના કેફમાં પડીને અથવા એને આવશ્યકતાથી અધિક મહત્વની માનીને આ લોકને અથવા વર્તમાન જીવનને કે જન્મને અન્યાય નથી કરવાનો. આપણે ત્યાં ધર્માનુષ્ઠાનને નામે પરલોકને તથા જન્માંતરને એટલું બધું મહત્વ આપવામાં આવે છે કે એનો આધાર લેનાર વર્તમાન જન્મ કે જીવનને સુધારવાનો, સત્વશીલ કરવાનો કે ઉદાત્ત બનાવવાનો વિચાર નથી કરતો. સઘળા પ્રયત્નો શરીરને છોડ્યા પછીની ગતિ પર જ કેન્દ્રિત કરવામાં આવે છે. એ હકીકતને આદર્શ ના કહી શકાય. જે સત્કર્મ કરવાનું છે તે આ જ લોકમાં, આ જ જીવનમાં, इह एव કરવાનું છે. અને આ જીવનને ઉપર ઉઠાવવા માટે જ કરવાનું છે. આ જીવનને અને જગતને સ્વસ્થ, સુખમય, સમૃદ્ધ, સમુન્નત અને શાંત બનાવવાની પ્રવૃતિનો પરિત્યાગ કદાપિ કરવો ના જોઇએ.
ઉપનિષદ જણાવે છે કે જિજીવિષેત્ એટલે કે જીવવાની ઇચ્છા કરવી જોઇએ, મરવાની નહિ. જીવન જરૂરી છે. જીવન પ્રત્યે નિરાશ થવાથી અને અવજ્ઞાવૃતિ કેળવવાથી કશું જ નહિ વળે. જે જીવન ઇશ્વરે આપેલું છે તે ઇશ્વરને માટે અને ઇશ્વરની દૈવી દુનિયાને માટે વપરાવું જોઇએ. એની સફળતા તથા સાર્થકતા એમાં જ સમાયેલી છે. એવું જ જીવન શોભારૂપ છે જે ફૂલની પેઠે ફોરમ આપે છે અને અંતે દેવમંદિરમાં સમર્પિત બને છે. જીવનને કૃતાર્થ કરવાનો બીજો કોઇ માર્ગ નથી. માનવ પોતાની જીવન ધ્યેયને ભૂલી જાય છે. તે પ્રકૃતિના પ્રલોભનાત્મક પદાર્થોમાં આસક્ત થાય છે. એ એના દુઃખનું, બંધનનું અને એની અશાંતિનું અગત્યનું કારણ છે. એ કર્મ કરે અને સંસારમાં શ્વાસ લે તોપણ એની અંદર આસક્તિ ના કરે અને એનાથી અલિપ્તિ રહીને પરમાત્મામાં પ્રતિષ્ઠિત બને એ આવશ્યક છે. એવું કરવાથી એનું જીવન ઉત્સવમય બની શકે. જીવન જીવવાની એવી અદભૂત કળાનો અભાવ હોવાથી એનું જીવન અવ્યવસ્થિત અને અશાંત બની ગયું છે.
જીવનના મહિમાનું જયગાન ગાનારો આ શ્લોક સૌ કોઇને માટે કામનો છે. એની પ્રેરણાને ઝીલવામાં આવે તો જીવન જયોતિર્મય બને. જીવનને સુખશાંતિથી સંપન્ન કરવા માટે કર્મને દોષમય માનીને બાહ્ય જીવન-પ્રવૃતિનો પરિત્યાગ કરવાનું કહેનારા અને જગત પ્રત્યે તિરસ્કાર બુદ્ધિ કેળવવામાં મદદરૂપ બનનારા શ્ર્લોકો તો બીજા કેટલાય મળી આવે પરંતુ જગતને ઇશ્વરનું આવાસસ્થાન કહીને એને ચાહવાની અને અલિપ્તભાવે એનો ઉપયોગ કરવાની પ્રેરણા પાનારો આ શ્લોક ખરેખર અસાધારણ છે. એનું ઉચિત ગૌરવ કર્યા વિના આપણે રહી શકતા નથી. એ આપણને જીવનવિમુખ નથી બનાવતો, જીવન પ્રત્યે અભિમુખ બનાવે છે, અને એ થતાં પણ નિર્મમતા શીખવે છે એ એની વિશેષતા છે.
असुर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः ।
ताँस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः ॥३॥
આ શ્લોક પણ કર્મના મહિમાનું જ પ્રતિપાદન કરે છે. આપણે ત્યાં આત્મઘાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એ શબ્દ પરંપરાગત રીતે પ્રચલિત છે અને જુદા, એક પ્રકારના વિશિષ્ટ અર્થમાં વપરાય છે. એ અર્થ જાણીતો છે. જે પોતાનો નાશ નોતરે અથવા આપઘાત કરે એને આત્મઘાત કહેવાય છે. દુઃખ, ક્લેશ, વ્યાધિ, નિરાશા, કંગાલિયત, હાનિ અથવા બીજા કોઇયે કારણથી પ્રેરાઇને જીવનનો અંત આણનાર અથવા આણવાનો પ્રયત્ન કરનાર અપરાધી અથવા દંડપાત્ર પણ મનાય છે. જેમ માનવ બીજાનું ખૂન કરે છે તેમ પોતાનું પણ કરે છે. એ જીવનને ચાહી અથવા માણી નથી શકતો, ઉચિત ન્યાય નથી આપતો અને વિકસાવી નથી શકતો. હાથમાં આવેલા હીરાને ખોઇ દે છે. એવા આત્મઘાત કરનારા માનવોની સૂચિમાં એક અન્ય પ્રકારના માનવનો ઉમેરો કરવા જેવો છે. જે માનવો મહામોંઘા દેવદુર્લભ શરીરને મેળવીને આત્મકલ્યાણ કરવાને બદલે આત્માને ભૂલીને અનાત્મ પદાર્થોની પ્રીતિ કરે છે અને માનવતાનો મૃત્યુઘંટ વગાડે છે, આત્મદર્શનના પુણ્યપથમાં પ્રવૃત નથી થતા, આત્માની અશાંતિ અને આત્માનાં બંધનોને વધારે છે, એ બધા આત્મઘાતકો છે. ઉપનિષદ એમને આત્માનું હનન કરનારા કહે છે. એ જીવતા હોય છે તોપણ જીવનના રહસ્યને જાણવાનો પ્રયત્ન કર્યા વિના મરેલા હોય એવી રીતે જીવે છે. એ બીજું બધું જ કરે છે પરંતું આત્મકલ્યાણ કે આત્મવિકાસની પ્રવૃતિ નથી કરતા. એથી ઉલટું, પોતાના ને બીજાના બંધન, ક્લેશ, અશાંતિ અને દુઃખ વધે એવાં કુકર્મો કર્યા કરે છે.
એવા આત્મવિમુખ, આત્મઘાતક, માનવોનો સંસારમાં તોટો નથી. એ ઇન્દ્રિયોના ભોગોને જ સર્વકાંઇ સમજે છે અને એની અંદર ડૂબેલા રહે છે. એમની જીવતાં જ દુર્ગતિ થાય છે. એમને આત્મિક શાંતિનો અને જીવનના વાસ્તવિક વિકાસનો લાભ નથી મળતો. એ આસુરી સંપત્તિના મૂર્તિમંત સ્વરૂપ બનીને શ્વાસ લે છે. એમનું શરીર છૂટે છે ત્યારે શું થાય છે ? એમને કેવી મરણોત્તર ગતિની પ્રાપ્તિ થાય છે ? એનો ઉલ્લેખ કરતાં એ શ્લોકમાં કહેવામાં આવે છે કે એ ગતિ અતિશય અમંગળ હોય છે. એવા માનવોને મરણ પછી અવિદ્યાથી ભરેલા, આસુરી સંપત્તિના પ્રતીક જેવા, દુઃખ-દર્દ અને અશાંતિથી છલેલા લોકની અથવા યોનિની પ્રાપ્તિ થાય છે. એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત નથી બનતા ને મુક્તિના મંગલ મંદિર દ્વારને નથી ઉઘાડી શકતાં. આવા સર્વોત્તમ માનવ શરીરને મેળવીને એ કરવા યોગ્ય પુરુષાર્થને નથી કરતા એટલે જીવન દરમ્યાન અને એ પછી પ્રાપ્ત થનારી સર્વોત્તમ સદગતિથી વંચિત રહી જાય છે.
પેલા ભક્ત કવિએ ઠીક જ કહ્યું છેઃ
મળ્યો મનુષજનમ અવતાર માંડ કરીને,
તમે ભજ્યા નહીં ભગવાન હેત ધરીને,
તેથી ખાશો જમનો માર પેટ ભરીને ...  માટે રામનામ સંભાર...
જમનો માર એટલે પીડા, પરિતાપ, દુઃખ, યંત્રણા, અશાંતિ. એમાંથી છૂટવા માટે પરમાત્માના સાક્ષાત્કારનો જ એકમાત્ર અકસીર અમોઘ ઉપાય છે.
अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन्पूर्वमर्षत् ।
तद्धावतोऽन्यानत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिश्वा दधाति ॥४॥
પરમાત્માનો સાક્ષાત્કાર ના કરનારા અને પરમાત્મા પ્રત્યે અભિમુખ ના બનનારા માનવો દુઃખી થાય છે ને દુર્ગતિને પામે છે એ હકિકતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું એટલે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન પેદા થાય છે કે, જેમને પામવાનો મહિમા આટલો બધો મોટો છે એ પરમાત્મા કેવા છે અને એમનું સ્વરૂપ કેવું છે ? પરમાત્મા કોઇ વ્યક્તિ નથી પણ શક્તિ છે, પરમ સર્વશ્રેષ્ઠ શક્તિ છે, સર્વશક્તિમાન છે, એ સ્પષ્ટપણે સમજી લેવાનું છે. જેમ વિદ્યુત શક્તિ સામાન્ય જેવી હોવાં છતાં અનેક પ્રકારની શક્યતાવાળી છે અને આશ્ચર્યકારક કાર્યો કરી શકે છે તેવી રીતે પરમાત્મા એથીયે અધિક સૂક્ષ્મ તથા સામર્થ્યવાળા છે અને સંસારના સર્જન-વિસર્જનાદિ અનેકાનેક કાર્યોને કરી શકે છે. એ સાચેસાચ કેવો છે એ તો કોણ અને કેવી રીતે કહી શકે ? એ મન અથવા વાણીના વિષય જ નથી, એમને અવાગ્મનસગોચર કહ્યા છે તોપણ મન એમનું મનન અને વાણી વર્ણન કરવાના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો પરિપૂર્ણ છે એવું ના કહી શકાય. એમની પરિપૂર્ણતાનો દાવો પણ કોઇ નથી કરતું. છતાં પણ એમની રીતે એમનું મહત્વ છે અને એવા પ્રયત્નોથી પરમાત્માને સમજવામાં ઓછીવત્તી મદદ મળે છે. એ દ્રષ્ટિએ કહી શકાય કે પરમાત્મા એક અને અચળ છે. એમની બરાબરી બીજા કોઇનાથી નથી કરી શકાય તેમ. સંસારના સર્જનપૂર્વે એકમાત્ર એ જ હતા, અત્યારે પણ એ જ છે અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. સંસારમાં ભયંકર પ્રલયંકર તોફાની પવનો વાય અને સર્જન-વિસર્જનના ક્રમ આરંભાય કે બદલાય તોપણ એમની ઉપર એની અસર નથી થતી. એ બધાની વચ્ચે એ અચળ રહે છે. અનેક પ્રકારના બાહ્યાભ્યંતર આઘાતો અને પ્રત્યાઘાતોની વચ્ચે પણ જે સ્વસ્થ, સ્થિર, એકરસ અને અછળ હોય એવી એક શાશ્વત સર્વોપરી સત્તાની શક્યતાને વિજ્ઞાન પણ નકારી નથી શકતું. અધ્યાત્મ, એ જ શાશ્વત સત્તાને પરમાત્મા કહે છે.
એ પરમાત્માનો વેગ મનથી પણ વધારે છે. એ સૌના આદિ, જ્ઞાનસ્વરૂપ અને સર્વના જ્ઞાતા છે. મોટા મોટા મુનિવરો અને દેવો પણ એમના મહિમાનો પાર નથી પામી શક્યા. દુનિયામાં એ સૌથી વધારે દિવ્ય છે. એમને લીધે જ જુદા જુદા દેવતાઓ પોતપોતાની પ્રવૃતિમાં પ્રવૃત થાય છે. એમના મહિમાનું જયગાન પૂરેપૂરી રીતે કોઇપણ ગાઇ શકે તેમ નથી.
तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके ।
तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥५॥
પરમાત્મા સાચેસાચ કેવા છે તે વિશે આ શ્ર્લોકમાં વિશેષ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. એમનું સામર્થ્ય અને જ્ઞાન અપ્રતિમ છે એ તો આપણે જોઇ લીધું. એ અત્યંત અસાધારણ, એક અને અનુપમ હોવાથી એમનું સર્વ કાંઇ અનુપમ છે. આ શ્ર્લોકમાં એમના વિશે બહારથી કેટલાક વિરોધાભાસી ભાવો કે વિચારોની અભિવ્યક્તિ કરવામાં આવી છે. એ અભિવ્યક્તિ બહારથી વિરોધાભાસી હોવાં છતાં અંદરથી શાંતિપૂર્વક વિચારવાથી પૂરક દેખાય છે.
પરમાત્મા ચાલે છે એટલે કે ચાલનારા પદાર્થોને ચાલવાની શક્તિ અથવા ગતિ આપનારા બીજા કોઇ જ નહીં પરંતુ પરમાત્મા જ છે. પરમાત્મા જ એમની અંદર ગતિસંચાર કરે છે અથવા એમના રૂપમાં પરમાત્મા જ દ્રષ્ટિગોચર થાય છે અથવા ચાલે છે. તે નથી ચાલતા એટલે સર્વ પ્રકારની ભૌતિક પ્રવૃતિઓથી પર છે. પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત તથા સ્થિર છે. જગતનું ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. ઉષા તથા સંધ્યા, દિવસ અને રાત, શરદ-વસંત, ગ્રીષ્મ અને વર્ષા વારાફરતી આવે છે ને જાય છે. સૂર્ય, ચંદ્ર અને તારામંડળ પોતપોતાની અને પવનની લલિત લહરી પોતાની પ્રવૃતિમાં પ્રવૃત છે. વિલક્ષણ રીતે રાસલીલા રમ્યા કરે છે. સરિતા સમુદ્રની દિશામાં સતત અભિસરણ કરતી રહે છે અને સમુદ્ર ભરતી-ઓટની વિરોધાભાસી રમત રમે છે. સમસ્ત સર્જન એક ક્ષણને માટે પણ સ્થિર હોય એમ નથી લાગતું. એનો સ્થૂળ-સુક્ષ્મ વ્યાપાર અબાધિત રીતે એકધારો ચાલતો જ હોય છે. પરંતુ પરમાત્મા એવા સર્વ પ્રકારના વ્યાપારથી પર છે. એમને કશું જ નથી સ્પર્શતું. એ સૌથી અલિપ્ત હોય છે. એ દૂર-સુદૂરવર્તી પદાર્થોમાં તો રહેલા જ છે પરંતુ પાસેમાં પાસે પણ વિરાજે છે. પ્રાણની પણ પાસે છે. એ ઉપરાંત, આસુરી સંપત્તિવાળા, કુકર્મપરાયણ, પરમાત્માથી વિમુખ માનવોને માટે પરમાત્મા દૂર છે. પરંતુ પરમાત્માભિમુખ, સત્કર્મપરાયણ, દૈવી સંપત્તિવાળા માનવોને માટે તદ્દન પાસે અથવા સુલભ છે. અજ્ઞાનની અવસ્થા દરમ્યાન દૂર છે અને આત્મજ્ઞાનની અલૌકિક અનુભવપૂર્ણ અવસ્થા દરમિયાન પાસે. જીવનને નિર્મૂળ બનાવવાનો પ્રયત્ન કરતાં જે ધ્યાનપરાયણ બને છે અને સત્સંગનો આધાર લે છે તેની છેક જ પાસે છે અને ઘોર વિષયી જનોથી દૂર. એ જગતની અંદર છે અને બહાર પણ છે. જગતમાં રહેવા છતાં જગતમાં પૂરેપૂરા કેદ નથી થઇ શકતાં. જગતમાં જે ચૈતન્ય, સૌન્દર્ય, આકર્ષણ અથવા માધુર્ય દેખાય એ તો એમના અનંત ચૈતન્ય, સૌન્દર્ય, આકર્ષણ અથવા માધુર્યના અંશ બરાબર પણ નથી એવું નિશંક રીતે કહી શકાય. એવી રીતે સમજવાથી સંસારનાં સાધારણ-અસાધારણ આકર્ષણોમાંથી સહેલાઇથી મુક્તિ મેળવી શકાય અને એવાં આકર્ષણોના શિકાર ના થવાય. સંસાર જ સર્વ કાંઇ છે અને એથી પર કે બહાર બીજું કાંઇ જ નથી એવી અજ્ઞાનજન્ય મોહમૂલક માન્યતાનો અંત આવે. સંસારમાં રહેલા પરમાત્માને પેખીને ભેદભાવથી છૂટવાથી વૃતિ બળવાન બની જાય ને તદનુસાર પ્રવૃતિ થવાથી જીવન સાર્થક થાય
यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति ।
सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ॥६॥
માનવ બીજા પ્રત્યે ધૃણાની દ્રષ્ટિએ શા માટે દેખતો હોય છે ? સ્વાર્થ, અહંકાર, ઇર્ષા જેવી વૃતિઓને લીધે, એવી અમંગલ વૃતિઓને લીધે એની સદબુદ્ધિ ઘેરાઇને ઢંકાઇ જાય છે, અને એનું દર્શન વિપરીત તથા વિકૃત થાય છે. સદબુદ્ધિને જાગ્રત કરવા, વધારવા અને વૃતિ, દ્રષ્ટિ તથા પ્રવૃતિને પવિત્ર બનાવવા પરમાત્માની સાથે સંબધ બાંધવાનું અનિવાર્ય છે. પરમાત્માની સાથે સંબંધ બંધાવાથી પારસના સ્પર્શથી પલટાતા લોઢાની પેઠે માનવનું સર્વ કાંઇ પલટાઇ જાય છે. વ્યક્તિત્વ વિશદ બને છે અને દર્શન ઉદાત્ત અથવા અલૌકિક.
યોગી ભર્તૃહરિ પોતાના વૈરાગ્યશતકમાં જણાવે છે કે  જીવનમાં જ્યારે કામવાસનાના વેગને લીધે અજ્ઞાન છવાયેલું ત્યારે સમસ્ત જગત નારીમય દેખાયા કરતું. પરંતુ હવે અંતરમાં અને આંખમાં સદસદ્ વિવેકરૂપી અંજન અંજાવાથી કામવાસનાનો કમળો દૂર થયો છે. એટલે અખિલ બ્રહ્માંડમાં પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કશું જ નથી દેખાતું. પ્રેમભક્તિમાં ડૂબેલી ગોપીઓ જડચેતનમાં સર્વત્ર ભગવાન કૃષ્ણનું દર્શન કરતી. આત્મજ્ઞાની, એવી રીતે ભગવદગીતાની ભાષામાં કહીએ તો સર્વે જીવોમાં અથવા સમસ્ત સંસારમાં પરમાત્માને અને સમસ્ત સંસારને પરમાત્મામાં જુએ છે. એવું દર્શન એને સારુ સ્વાભાવિક થઇ જાય
सर्वभूतस्थत्मा सर्वभूतानी चात्मनि ।
જે સૌની અંદર પરમાત્માને જ પેખે છે તે કોને તિરસ્કારે કે કોના પ્રત્યે દ્વેષ રાખે ? કોનો ભય રાખે ને કોનો મોહ ? કોને શત્રુ સમજે ને કોને મિત્ર માને ? જે સર્વત્ર પરમાત્માની જ પરમસત્તાને અનુભવતો હોય તે કોઇને તિરસ્કારી શકે જ નહિ. પરમાત્મભાવનું અનુસંધાન તૂટવાથી જ જીવનમાં એક અથવા બીજા અનર્થોની પરંપરા ઊભી થાય છે. જ્યાં પરમપવિત્ર પરમાત્મભાવ હોય છે ત્યાં અનર્થો નથી રહી શકતા. સંત તુલસીદાસે એનો મહિમા બતાવતાં રામાયણમાં કહ્યું છે તે ઉચિત જ છે કે
ઉમા જો રામચરનરત, વિગત કામ-મદ-ક્રોધ,
નિજ પ્રભુમય દેખહિ જગત, કેહિ સન કરહિ વિરોધ.
એ કથન ઉપનિષદના આ ઉદગારોની માર્મિક રજૂઆત જેવું લાગે છે. એનો સૂચિતાર્થ સ્પષ્ટ છે, હૃદય જ્યાં સુધી કામક્રોધાદિનું ક્રીડાંગણ હોય અથવા નિર્મળ ના હોય ત્યાં સુધી પોતાની અંદર અને બહાર પરમાત્માનું પરમ પવિત્ર દર્શન કેવી રીતે થઇ શકે ? જીવનને નિર્મળ કરવાની આવશ્યકતા સૌથી મહત્વની ને મોટી છે. તેના સિવાય પરમાત્મભાવના સુમેરુ શિખર પર ના જ ચઢી શકાય.
કોઇ માનવ પરમાત્મ દર્શનનો દાવો કરતી હોય અને છતાં પણ બીજાની અવજ્ઞા કે ઘૃણા કરતો હોય તો તેનો દાવો પોકળ છે અને આચાર સાથે મેળ નથી ખાતો એવું નિશ્ચયાત્મક રીતે સમજી લેવું. પરમાત્માની પાસે પહોંચનાર માનવનાં નેન અને વેણ બદલાય છે, વિમલ બને છે, એનો વ્યવહાર વિશદ થાય છે અને એની વૃતિ પણ ઉત્તમતા ધારણ કરે છે.
यस्मिन्सर्वाणि भूतान्यात्मैवाभूद्विजानतः ।
तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः ॥७॥
આ શ્લોક આની પહેલાંના શ્લોકના અનુસંધાનમાં જ લખાયેલો લાગે છે. એનો ભાવ એ શ્લોકને અનુસરતો છે. પરમાત્મદર્શી, પરમાત્મામાં પ્રતિષ્ઠિત મહાપુરુષને સર્વત્ર, સર્વ પ્રકારની પરિસ્થિતિમાં સતત રીતે પરમાત્માનો જ અનુભવ થતો હોય છે. એ પરમાત્મામાં જ રમે છે, રહે છે ને શ્વાસ લે છે. એ સંબંધ એક ક્ષણને માટે પણ નથી મટી જતો. એવા મહાપુરુષ પ્રસન્નતાના પારાવારમાં ડૂબીને પ્રસન્નતાની પ્રતિમા બની જાય છે. એમને શોક, મોહ કે સંતાપ નથી સતાવી શકતા. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એ પોતાના ચિત્તતંત્રને સ્વસ્થ રાખી એમના આંતરિક આનંદને સાચવી શકે છે.
એવા આત્મદર્શી, આત્મારામ, આત્મતૃપ્ત, આત્મનિષ્ઠ મહાપુરુષો શોક તથા મોહમાંથી મુક્તિ મેળવીને આત્માનુસંધાનનો આનંદ અનુભવતા હોય છે. સંસારના સામાન્ય મનુષ્યો જે શોક, મોહ અને સંતાપથી ઘેરાયેલા હોય છે તે શોક, મોહ અને સંતાપના શિકાર કદીપણ તેઓ નથી બનતાં. કોઇ માનવ પરમાત્મદર્શી ના હોય અને પરમાત્મપ્રેમી હોય તોપણ શોક-મોહથી મુક્તિ મેળવે છે. જીવનમાં જે કાંઇ બને છે તે ઇશ્વરની ઇચ્છા પ્રમાણે મંગલને માટે જ બને છે એવો એને વિશ્વાસ હોય છે. એ વિશ્વાસથી પ્રેરાઇને જીવતો હોવાથી એ સર્વકાળે તથા સ્થળે સ્વસ્થતાપૂર્વક જીવી શકે છે.
પોતાની અંદર અને બહાર પરમાત્મનું દર્શન કરનારને મોહ થઇ શકે છે ? ના. કદાપિ નહિ. પરમાત્માનું દર્શન કરનાર તો પરમ પવિત્ર પ્રેમથી પરિપ્લાવિત બની જાય છે, પ્રેમરંગથી રંગાઇ જાય છે. સર્વત્ર પરમાત્મદર્શન કરીને એ સર્વપ્રત્યેના સ્નેહથી સંપન્ન બનીને સૌના હિતસાધનમાં તત્પર રહે છે. એવી તત્પરતા એને માટે સ્વાભાવિક બની જાય છે.
સામાન્ય માનવો પણ એવી ભાવના અથવા તત્પરતા કેળવે તો તે તેમને તથા બીજા બધાને માટે ઉપયોગી થઇ પડે તેમાં શંકા નથી, વરસો પહેલાં યુદ્ધના સમય દરમ્યાન સ્ટેશનો પર લખવામાં આવતું કે May I help you ? હું તમને મદદરૂપ થઇ શકું ? હું તમને શી મદદ કરું ? એના પાછળની ભાવના ખૂબ જ સારી હતી. બીજાને તન, મન, વચન, ધન, પદ, અથવા અધિકાર દ્વારા ઉપયોગી થવાની ભાવનાને સેવીને સમય પર ઉપયોગી થવામાં મનુષ્યતા રહેલી છે. એવી સદભાવનાવાળા મનુષ્યો 'અમે બીજાની શી મદદ કરીએ' એવું વિચારીને બેસી રહેતા નથી, પરંતુ તદનુસાર પ્રયત્નો કરે છે એટલે કે બીજાને ઉપયોગી થવાના સાધનો શોધે છે. પ્રત્યેક પુરુષ જો એવી સદભાવનાથી સંપન્ન બનીને જીવવા માંડે તો સમાજનું સ્વરૂપ જ બદલાઇ જાય અર્થાત્ વધારે સારું થાય. રાતે સૂતી વખતે પ્રત્યેકે પોતાની જાતને પૂછવું જોઇએ કે આજને જે સ્વર્ણસમય મને જીવનના રૂપમાં પ્રાપ્ત થયેલો તે દરમિયાન મેં મારે માટે તો ઘણું ઘણું કર્યું પરંતુ બીજાને માટે શું કર્યું ? સવારે ઉઠીને પોતાની સમગ્ર શક્તિ તથા સાધનસામગ્રી દ્વારા બીજાને માટે પણ જીવવાનો સંકલ્પ કરવો જોઇએ. એવી રીતે જીવવામાં આવે તો સંસારના મોટાભાગનાં શાક-સંતાપ તથા મોહ દૂર થઇ જાય ને જીવન તથા જગત જીવવા જેવું થાય. બીજાને માટે જીવાયેલું જીવન સાર્થક જીવન છે.
स पर्यगाच्छुक्रमकायमव्रण- मस्नाविरँ शुद्धमपापविद्धम् ।
कविर्मनीषी परिभूः स्वयम्भू-र्याथातथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः॥८॥
પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે કેવી જાતની અસાધારણ આત્મિક યોગ્યતાની આવશ્યકતા હોય છે એનો નિર્દેશ અત્યાર સુધીની ચર્ચાવિચારણા પરથી સહેજે મળી શકે છે. શોક અને મોહમાં મગ્ન માનવને માટે પરમાત્માની પ્રાપ્તિનું કાર્ય અતિશય કઠિન, લગભગ અશક્ય જેવું થઇ પડે છે. પરમાત્માની કૃપાને મેળવવા માગનારનું જીવન નિર્મળ જોઇએ અને મન સ્વસ્થ તથા સ્થિર. નિર્મળ મનના મહાપુરુષો શ્રદ્ધાભક્તિ સહિતની સતત સાધના દ્વારા પરમાત્માને પામી અને જાણી શકે છે. એ પરમાત્મા સ્થૂળ પ્રાકૃત શરીરથી રહિત સચ્ચિદાનંદસ્વરૂપ છે. સર્વજ્ઞ, સ્વયંભૂ અને જ્ઞાનસ્વરૂપ છે. સર્વવ્યાપક તથા સૌના નિયંતા છે. એ સ્વેચ્છાનુસાર સ્વૈચ્છિક રૂપ લઇને પ્રકટ થવાની શક્તિવાળા છે. સમસ્ત સૃષ્ટિનું સંચાલન કરે છે અને સૌને એમના કર્મસંસ્કારોને અનુલક્ષીને ફળ આપે છે. સનાતન કાળથી સંસારના સૂત્રધાર તરીકે કાર્ય કરે છે.
પરમાત્મા જુદાજુદા જીવોનાં કર્મોની વ્યવસ્થા કરે છે અથવા કર્મફળપ્રદાતા બને છે તોપણ કર્મ અને કર્મફળની શુભાશુભ અસરોથી અલિપ્ત રહે છે. સૌના સૂત્રધાર અને સંરક્ષક હોવા છતાં સર્વે જાતની અહંતા-મમતામાંથી મુક્ત છે. એ આટલા વિશાળ વિશ્વનો ખેલ તો કરે છે પરંતુ તદ્દન ન્યારા રહીને. એમને કશું જ નથી સ્પર્શી શકતું.
એવા પરમાત્માને પામવા માટેની યોગ્યતા પણ એવી જ અનોખી હોવી જોઇએ. માનવે પોતે અહંતા, મમતા અને આસક્તિથી રહિત બનવું જોઇએ. એ સિવાય એનું જીવન ભાગ્યે જ કૃતકૃત્ય બની શકે.
એ પરમાત્મા માનવની પોતાની અંદર પણ વિરાજમાન છે. એની છેક જ પાસે. પ્રાણની પણ પાસે. એના અંતરના અંતરતમમાં. ત્યાં એમનો સાક્ષાત્કાર કરવા માટે કટિબદ્ધ બનવું જોઇએ. એને માટે અંતરંગ સાધનાનો આધાર લેવો જોઇએ. અંતરંગ સાધન દ્વારા એ પરમાત્માનો સાક્ષાત્કાર પોતાની અંદર સધાશે એટલે બહાર બધે પણ સહેલાઇથી શક્ય બનશે.

अन्धं तमः प्रविशन्ति येऽविद्यामुपासते ।
ततो भूय इव ते तमो य उ विद्यायाँ रताः ॥९॥
આ શ્લોકનો સૂર અત્યાર સુધીના શ્ર્લોકો કરતાં થોડોક બદલાય છે. ઇશાવાસ્ય ઉપનિષદ જીવન પ્રત્યે અભિમુખ બનવાનું ઉપનિષદ છે. એના આરંભમાં જીવનના મૂળભૂત ધ્યેયનો અને એ ધ્યેયપ્રાપ્તિના વ્યાવહારિક સર્વસામાન્ય સર્વસુલભ સાધનાનો સુપરિચય કરાવવામાં આવ્યો. એ ધ્યેયને પ્રાપ્ત નહિ કરનારી ગતિ વિશે પણ કહેવામાં આવ્યું. અને એ ધ્યેય-સિદ્ધિના સુમેરુ શિખર પર પહોંચેલા સ્વાનુભવસંપન્ન સત્પુરુષના વ્યક્તિત્વનું વિશદ, આછુંપાતળું છતાં રમણીય રેખાચિત્ર રજૂ કરવામાં આવ્યું. પરમાત્માનું વર્ણન કરવાનો પ્રયાસ પણ કરી લેવાયો. હવે વિદ્યા અને અવિદ્યાની ઉપાસના વિશે જણાવવામાં આવે છે. એના અર્થનું સ્પસ્ટીકરણ કરતાં પહેલાં વિદ્યા અને અવિદ્યાના ભાવાર્થને સારી પેઠે સમજી લેવાની આવશ્યકતા છે.
કેટલાક વિચારકોએ વિદ્યાનો અર્થ જ્ઞાન અને અવિદ્યાનો અર્થ કર્મ કર્યો છે. તો કેટલાક બીજા વિચારકો વિદ્યાને ધ્યાન અને અવિદ્યાને કર્મ તરીકે ઓળખાવે છે. આપણે એ શબ્દોને જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીશું. વિદ્યા એટલે અધ્યાત્મવિદ્યા, શાસ્ત્રવિદ્યા અને અવિદ્યા એટલે અધ્યાત્મવિદ્યા અથવા શાસ્ત્રવિદ્યા સિવાયની બીજી બધી વિદ્યા, અનાત્મવિદ્યા અથવા લૌકિક વિદ્યા. એ બંને વિદ્યાનાં ક્ષેત્રો પોતપોતાની રીતે કાર્ય કરે છે. જે લૌકિક વિદ્યા અથવા અનાત્મવિદ્યાને જ જીવનનું સારસર્વસ્વ સમજે છે અને એના સિવાયની બીજી કોઇપણ અધ્યાત્મવિદ્યામાં અભિરુચિ નથી રાખતા. અધ્યાત્મવિદ્યામાં માનતા પણ નથી, એ ઘોર અંધકારમાં રમે છે, જીવનને બરબાદ કરે છે ને દુઃખી બનાવે છે. અનાત્મ પદાર્થો કે વિષયો જીવનનું આત્યંતિક શ્રેય નથી સાધી શકતા. લૌકિક વિદ્યાઓ છે તો સારી, પરંતુ એકલી લૌકિક વિદ્યાઓની ઉપાસના જીવનનું-વ્યક્તિ કે સમષ્ટિનું પરમ કલ્યાણ નથી કરી શકતી. એમને લીધે જીવનમાં પરમાત્માના પરમપ્રકાશનું દર્શન નથી થઇ શકતું.
પરંતુ જો અધ્યાત્મવિદ્યા પણ જો શાસ્ત્રાધ્યયન અને શાસ્ત્રજ્ઞાન પૂરતી જ મર્યાદિત હોય અને બીજી બધી જ લૌકિક વિદ્યાઓની અવજ્ઞા કરવાનું શીખવતી હોય અથવા એમને અનાવશ્યક અને અનુપયોગી કહી બતાવતી હોય તો ? તો એથી પણ જોઇએ તેવો વિશેષ હેતુ ના સરી શકે. વિદ્યા અપરોક્ષ ના હોય અને પરોક્ષ જ હોય તો એની આસક્તિ પણ માનવને આત્માના અલૌકિક આલોકમાં પ્રવેશાવીને જીવનમુક્તિના વાસ્તવિક આનંદથી કૃતાર્થ ના કરી શકે. પરોક્ષ જ્ઞાન અથવા શાસ્ત્રજ્ઞાનમાં મગ્ન કેટલીકવાર અહંતા તથા મમતાનો શિકાર બનીને ક્ષુલ્લક રાગદ્વેષો તથા પૂર્વગ્રહોમાં સપડાઇ જાય છે. એ બાહ્ય પાંડિત્ય અથવા બૌદ્ધિક પ્રતિભાના, તર્કવિતર્કના સ્થૂળ કુંડાળામાંથી બહાર નથી નિકળી શકતો. જીવનભર એમાં જ રમ્યા કરે છે. અપરોક્ષ અનૂભુતિના પાવન પ્રદેશમાં નથી પ્રવેશતો. એથી અધિક અંધકાર બીજો ક્યો હોઇ શકે ? એથી વિશેષ દયનીય કરુણ દશા બીજી ક્યી હોઇ શકે ? આત્મવિદ્યાના મહિમાને સમજતા કે જાણતા જ નથી એમની વાત તો જુદી છે, પરંતુ જે જાણે કે સમજે છે એ પણ જ્ઞાનનો જીવનના વિકાસને માટે સમ્યક્ વિનિયોગ ના કરી શકે તો એમના જેવા અભાગી અથવા અજ્ઞ બીજા કોણ ? એ જો બીજી લૌકિક વિદ્યાઓને તિરસ્કારે કે વૈરાગ્ય, ધર્મ, તત્વજ્ઞાન કે સાધનાને નામે નિતાંત અનાવશ્યક માને-મનાવે તો તેમાં તેમની ભૂલ થાય છે.
જીવનમાં સઘળી વિદ્યાઓ પોતપોતાની રીતે આવશ્યક છે એવું સમજીને એમનું એમની આગવી રીતે મૂલ્યાંકન કરવું જોઇએ. જીવનને સમગ્ર રીતે જોવાની ને સર્વાંગીણ રીતે વિચાચવાની વૃતિ કે પદ્ધતિ જ બરાબર છે. જીવન અને જગત એકલી આત્મવિદ્યાથી નથી ભરેલું અને લૌકિક વિદ્યાઓથી પણ નથી બનેલું. એ બંને પ્રકારની વિદ્યાઓનો સુભગ સમન્વય જરૂરી છે અને સૌને માટે કલ્યાણકારક છે. એ દ્રષ્ટિએ વિચારતાં આ શ્લોક અત્યંત ઉપયોગી છે.
अन्यदेवाहुर्विद्ययाऽन्यदाहुरविद्यया ।
इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥१०॥
આ શ્લોકમાં વિદ્યા અને અવિદ્યાની અલગ અલગ ફળશ્રુતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ ઉલ્લેખ કરતી વખતે ઉલ્લેખ કરનાર પોતાનો અભિપ્રાય આપતી વખતે અત્યંત નમ્રતાપૂર્વક જણાવે છે કે વિદ્યા અને અવિદ્યા વિશે પોતાના વિચારોની રજૂઆત કરનારા મહાપ્રતાપી મહાપુરુષોએ આ પ્રમાણે કહેલું. એ ઉદગારોમાં અંતરની ઉદાત્તતાનું દર્શન થાય છે. એ ઉદગારો વ્યક્તિગત નિરાભિમાનતા, નમ્રતા, નિખાલસતાના સૂચક તો છે જ, પરંતુ સાથે સાથે સંસ્કૃતિના પૂર્વપુરુષો, પરંપરાગત આદર્શો, સત્યનિષ્ઠ સિદ્ધાંતો અને જીવનવિષયક ઉદાત્ત અભિગમો પ્રત્યેના પરમપવિત્ર પૂજ્યભાવના પણ પરિચાયક છે. ઇશાવાસ્ય ઉપનિષદના પ્રણેતા પ્રજ્ઞાથી પાવન પૂર્વપુરુષોની સગૌરવ સાભાર સ્મૃતિ કરે છે.
પૂર્વપુરુષો અને વર્તમાનકાળમાં વસતા મેઘાવી મહાપુરુષોનાં મંતવ્યોને લક્ષમાં લઇને, એમના પ્રત્યેના પૂર્વગ્રહથી પીડાયા વિના કે પક્ષપાતથી પ્રભાવિત થયા સિવાય અહીં નિઃશંક રીતે જણાવવામાં આવે છે કે વિદ્યાનું અને અવિદ્યાનું ફળ જુદુંજુદું છે. એ બંનેના કાર્યક્ષેત્ર અલગ અલગ છે. એમનાં પ્રયોજન પણ પૃથક છે. એટલા માટે એ બંનેને એક માનીને ના ચાલવું જોઇએ.
એ બંનેની ફળશ્રુતિનો ઉલ્લેખ હવે પછીના શ્લોકમાં વધારે વિશદતાથી, સ્પષ્ટતાપૂર્વક કરવામાં આવ્યો છે.
विद्यां चाविद्यां च यस्तद्वेदोभयँ सह ।
अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते ॥११॥
વિદ્યા અને અવિદ્યા બંને એવી એકદમ અલગ વસ્તુઓ છે જેમની વચ્ચે કોઇપણ પ્રકારે, કોઇપણ પ્રકારનો સંમિલનસેતુ ના બંધાય ? એમની અંદર કદાપિ એકવાક્યતા નથી થઇ શકે તેમ ? શાસ્ત્રજ્ઞાન, આત્મવિદ્યા અને ભૌતિક કે લૌકિક વિદ્યાઓ પરસ્પર વિરોધી દેખાતી હોવા છતાં પણ એમની વચ્ચે અવિરોધ નથી સ્થાપી શકાય તેમ ? અવિદ્યાનો અર્થ પરંપરાગત રીતે પ્રચલિત માન્યતા પ્રમાણે કર્મ કરીએ તોપણ આત્મજ્ઞાન સાથે એનો સુમેળ નથી સાધી શકાય તેમ ? આપણે ત્યાં પ્રાચીન કાળથી એક પ્રકારના વિદ્વાનો કે વિચારકો કેવળ આત્મજ્ઞાનને જ જીવનના આત્યંતિક અભ્યુદયને માટે અગત્ય આપે છે. તો બીજા પ્રકારના વિદ્વાનો કે વિચારકો લૌકિક વિદ્યાઓને જ ભૌતિક અભ્યુત્થાનને માટે આવશ્યક લેખે છે. બંને પ્રકારના વિચારકો એકમેકને ઉપેક્ષાની નજરે પણ નિહાળે છે. ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેવા એ બંને પરસ્પર વિરોધી છેડાઓની વચ્ચે કોઇ પ્રકારનું સુખદ જીવનોપયોગી સાંમજસ્ય સ્થાપી શકાય તેમ છે ખરું ? કે પછી એ બંને અલગ અલગ રીતે રિપુભાવે રહેવા જ સરજાયેલા છે ? આ શ્લોક એનો સમ્યક્ સુવિચારપૂર્વકનો ઉત્તર પૂરો પાડે છે.
અહીં વિદ્યા અને અવિદ્યાને બંનેને જે સાથેસાથે (ઉભયં સહ) જાણે છે એવું કહેવામાં આવ્યું છે. એ કથન સમન્વયાત્મક હોઇને વિદ્યા અને અવિદ્યાના સમન્વયને સૂચવે છે. વિદ્યા અને અવિદ્યા બંનેની, અદ્યાત્મવિદ્યા અને અનાત્મવિદ્યા અથવા લૌકિક વિદ્યા બંનેની, વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનવિકાસમાં પોતપોતાની રીતે આવશ્યકતા છે એવું મંતવ્ય રજૂ કરે છે. અધ્યાત્મવિદ્યાની અભિરુચિવાળા કેટલાય માનવો આધ્યાત્મિકતાને નામે લૌકિક વિદ્યાઓનો અથવા ભૌતિક સમૃદ્ધિ અને સમુન્નતિનો તિરસ્કાર કરે છે અને લૌકિક વિદ્યાઓમાં કે સાંસારિક સમૃદ્ધિ અને સમુન્નતિમાં માનનારા આધ્યાત્મિકતાની અવજ્ઞા કરે છે, હાંસી ઉડાવે છે. આદર્શ સામાજિક જીવનનાં એ બંને ભયસ્થાનો છે, અને એમાંથી ઉગરવાનું આવશ્યક છે. વ્યક્તિગત તથા સમષ્ટિગત જીવનની પરિપૂર્ણતા માટે એ ભયસ્થાનોમાંથી બહાર નિકળવાનું ધ્યાન રાખવું જોઇએ.
જ્યાં કેવળ આધ્યાત્મિક ઉત્કર્ષને જ સર્વકાંઇ સમજીને ભૌતિક વિકાસ પ્રત્યે આંખમીંચામણાં કરવામાં આવે છે, ભૌતિક વિકાસની અવહેલના થાય છે ત્યાં ભૌતિક રીતે માનવ પછાત રહી જાય છે, એ કંગાળ થાય છે, દૈન્ય અને પરાધીનતાનો શિકાર બને છે, અને મૃતપ્રાય બનીને જીવે છે. એથી ઉલટું, ભૌતિક વિકાસમાં રચ્યોપચ્યો રહેનારો આધ્યાત્મિકતાની અભિરુચિ વિનાનો માનવ આત્મા વિનાના શરીર જેવો લાગે છે. એ શરીરમાં અને સંસારમાં કેદ થઇ જાય છે પરંતુ આત્માને નથી ઓળખતો અને આત્માનાં રહસ્યોનું ઉદ્ઘાટન કરવા આગળ વધીને જીવનને નિવિષ્ટ, નિર્વાસનિક, પરિપૂર્ણ અને અમૃતમય નથી બનાવી શકતો.
એટલે જ એ બંનેનો સમુચિત ન્યાય કરવાની કે સ્થાન આપવાની અથવા એમનો સમન્વય સાધવાની આવશ્યકતા છે. એનું પરિણામ કેટલું બધું કલ્યાણકારક આવશે એ આટલી ચર્ચાવિચારણા પરથી સહેલાઇથી સમજી શકાશે. ભૌતિક વિદ્યાઓ દ્વારા સધાયેલો વિકાસ મૃત્યુને તરવામાં, મૃત્યુમાંથી મુક્તિ મેળવવામાં મદદરૂપ બનશે. દુઃખ, દરદ, દીનતા, ચિંતા, કંગાલિયત અને પરાધીનતા મૃત્યુ છે; એ બધાં જીવંત મૃત્યુના પર્યાયરૂપ છે. અને અધ્યાત્મવિદ્યા અથવા આધ્યાત્મિકતાથી અમૃતમય બનશે અથવા જીવનની વિશુદ્ધિને સાધીને મન-બુદ્ધિ-ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવાની કળામાં કુશળ થઇને, પરમાત્માની પ્રાપ્તિ કરી શકાશે.
સંક્ષેપમાં કહીએ તો કહી શકાય કે જીવનને પ્રશાંત તથા પૂર્ણ કરવા માટે આધ્યાત્મિક બનાવવું જોઇએ. જીવનને અધ્યાત્મ પ્રત્યે વિમુખ બનવું અને આધ્યાત્મિકતાએ જીવન તથા જગત સાથે સંબધવિચ્છેદ કરવાને બદલે એમના પ્રત્યે અભિમુખ થવું જોઇએ અથવા એમની ઉપર પોતાનો પ્રભાવ પાડવો જોઇએ. અવિદ્યાનો અર્થ કર્મ કરીએ તોપણ કર્મ દ્વારા જ જીવનને જ્યોતિર્મય, સુખી, સમૃદ્ધ અને જીવવા જેનું બનાવી શકાય એ સહેલાઇથી સમજાય તેમ છે.
અમૃતમય પરમાત્માની પ્રાપ્તિ અથવા અપરોક્ષાનુભૂતિથી જ મૃત્યુંજયી બની શકાય છે, ધન્ય થવાય છે અને પોતાના શુદ્ધ-બુદ્ધ-મુક્ત આત્મસ્વરૂપને આળખાય છે. એ પછી માનવ પોતાને પંચમહાભૂતના સ્થૂળ શરીરમાં સીમિત નથી સમજતો પરંતુ સમસ્ત સંસારમાં વ્યાપક માને છે. સંસારની સાથે આત્મીયતાનો અનુભવ કરે છે. એ અમૃતમય બને છે
अन्धं तमः प्रविशन्ति येऽसम्भूतिमुपासते ।
ततो भूय इव ते तमो य उ सम्भूत्याँ रताः ॥१२॥
આ શ્ર્લોકમાં ઉપનિષદકારે બે નવા જ શબ્દોનો પ્રયોગ કર્યો છે અને એમની વચ્ચેના ભેદનું વર્ણન કરવાનો પ્રયત્ન આદર્યો છે. એ શબ્દો છે સંભૂતિ અને અસંભૂતિ. સંભૂતિ અને અસંભૂતિ દ્વારા શું અભિપ્રેત છે એ સંબધમાં ભારે મતભેદ છે. કોઇ વિચારકો કે વિદ્વાનો સંભૂતિ એટલે વિવિધ દેવદેવી, ઇશ્વરના અવતાર અથવા વ્યક્ત સાકાર ઇશ્વર અવો અર્થ કરે છે. અને અસંભૂતિ એટલે નિરાકાર અવ્યક્ત ઇશ્વર એનો અર્થ ઘટાવે છે. તો કોઇ સંભૂતિનો અર્થ ભક્તિ અને અસંભૂતિનો અર્થ જ્ઞાન કરે છે. એ અર્થો ના ચાલે એવા નથી; સહેલાઇથી ચાલી શકે છતાં પણ આપણે સંભૂતિનો અર્થ સર્જન, પ્રકૃતિ, સાંસારિક સુધારણા અથવા વિજ્ઞાન અને અસંભૂતિનો અર્થ અવ્યક્ત પરમાત્મા એવો ઘટાવી શકીએ. એવા અર્થઘટન દ્વારા મૂળ શ્ર્લોકને અને એના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ તો કશું ખોટું નથી.
સર્જન, સંસાર અથવા પ્રકૃતિને પરમાત્માનું શરીર અથવા વ્યક્ત સ્વરૂપ કહી શકાય. એનાં સૌદર્ય, માધુર્ય, પ્રેમ અને ઐશ્વર્યને અવલોકીને તથા અનુભવીને એના અધીશ્વર પરમાત્માના મહિમાનો ખ્યાલ આવે છે. સર્જનમાં જે વિશિષ્ટતા છે તે તો પરમાત્માની પરમ વિશિષ્ટતાના એકાદ અલ્પ અંશ બરાબર છે. છતાં એ અલ્પ અંશ પણ અતિશય આકર્ષક અને સંમોહક હોવાથી એના આસ્વાદથી કેટલાય મનુષ્યો ભાન ભૂલી જાય છે. સર્જન, પચરંગી પ્રકૃતિ, સાંસારિક સુધારણા અને સંસારના રહસ્યનું ઉદઘાટન કરવાની મહત્વકાંક્ષાથી પંડિત બનીને એની સુખદ સફળતા માટે પ્રયોગાત્મક પ્રયત્નો કરાવવાનું વિજ્ઞાન, સર્વકાંઇ છે તો સારું અને પ્રશસ્ય, પરંતુ એમના નશામાં પડીને અને એમને જ સર્વ કાંઇ અથવા જીવનનું પરમ પ્રાપ્તવ્ય સમજીને જો માનવ એમની અંદર આસક્ત થાય અને પ્રકૃતિના પાશમાં બંધાઇને ભગવાનને ભૂલી જાય તો એ વસ્તુ એને માટે આત્મઘાતક થઇ પડે અને એનું પરમકલ્યાણ ના કરી શકે. સંસારની વચ્ચે વસનારા નામને સંસારના બનવાને બદલે ભગવાનના જ બની જવું જોઇએ. જે કેવળ સાંસારિક સુધારણામાં કે સુખોપભોગમાં જ રત બને છે તે ઘોર અજ્ઞાનાંધકારમાં રમે છે. એ અવિવેકી છે. તે જીવનની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત નથી બની શકતો.
એવી જ અવસ્થા જે કેવળ અવ્યક્ત પરમાત્માની જ ઉપાસના કરે છે અને એમના સાકાર વ્યક્ત સ્વરૂપ સરખાં સર્જન, સંસાર કે પ્રકૃતિ અને ભૌતિક-વૈજ્ઞાનિક સંશોધનોની ઉપેક્ષા કરે છે એની છે. એવો માનવ, પછી તે ગમે તેવો અને તેટલો વિદ્વાન કે શાસ્ત્રજ્ઞાની હોય તોપણ, ઉપર્યુક્ત માનવ કરતાં પણ વધારે ઘોર અજ્ઞાનાંધકારમાં રમતો હોય છે. પરમાત્માની ઉપાસનાના નામે કરતી સંસારની કે પ્રકૃતિના ઉપેક્ષા, અને સંસારની કે પ્રકૃતિના આરાધનાના નામે થતી પરમાત્માની અવજ્ઞા- બંનેમાંથી કશાને અભિનંદનીય, અનુકરણીય અથવા આદર્શ ના કહી શકાય. એ બંને છેડાઓ છે અને સામાન્ય રીતે સ્વસ્થ સંપૂર્ણ સમાજજીવનની દ્રષ્ટિએ એ છેડાઓને ટાળવા જોઇએ અથવા એમનો મેળાપ કરવો જોઇએ.
अन्यदेवाहुः सम्भवादन्यदाहुरसम्भवात् ।
इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥१३॥
આ શ્લોકની ચર્ચાવિચારણા દ્વારા ઉપનિષદકાર પ્રજ્ઞાપૂત પ્રાતઃસ્મરણીય મહાપુરુષોનું સ્નેહપૂર્વક સ્મરણ કરે છે. અને એમને અનુરાગની અંજલિ આપે છે. મહાપુરુષોના અનુભવસિદ્ધ અભિપ્રાયને પ્રમાણભૂત માનવાની પરંપરાનું ઉપનિષદમાં અન્યત્ર પણ દર્શન થાય છે. એ અભિપ્રાયના આધાર પર અહીં કહેવામાં આવે કે સંભૂતિની ઉપાસનાથી બીજું જ ફળ પ્રાપ્ત થાય છે. બંનેના ફળ જુદાં જુદાં છે.
આ બધું જ્ઞાન પરંપરાગત છે અને મહાજ્ઞાની મહાપુરુષોનાં શ્રીચરણોમાં બેસીને એમના શ્રીમુખ દ્વારા સાંપડેલું છે એ હકીકતનો નિર્દેશ આ શ્લોક દ્વારા સહેલાઇથી થઇ રહે છે. પ્રાચીન કાળમાં જ્ઞાનની પ્રાપ્તિ આત્મજ્ઞાની મહાપુરુષોની કૃપાથી આપોઆપ થયા કરતી. એવા મહાપુરુષો અનુભવના આધાર પર સ્વાભાવિકી કરુણાથી પ્રેરાઇને નિષ્કામભાવે આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા. એ ઉપદેશ બીજા કેટલાયને માટે કલ્યાણકારક થતો.
सम्भूतिं च विनाशं च यस्तद्वेदोभयँ सह ।
विनाशेन मृत्युं तीर्त्वा सम्भूत्याऽमृतमश्नुते ॥१४॥
વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનમાં પ્રકૃતિ અને પરમપુરુષની, કાર્યબ્રહ્મની અને પરબ્રહ્મ પરમાત્માની, ઉભયની ઉપાસનાની આવશ્યકતા છે. પ્રકૃતિ પરિવર્તનશીલ અથવા વિનાશી છે તોપણ અસાધારણ શક્તિ અથવા સાધનસંપત્તિથી સંપન્ન એનાં તત્વો અથવા પંચમહાભૂતોનો સુવિચારપૂર્વક સમ્યક સદુપયોગ કરવામાં આવે તો વ્યાઘિ, દૈન્ય, દુઃખ, બંધન અને પરાધીનતામાંથી મુક્તિ મળે. માનવ અલ્પતા અને અજ્ઞતાનો દાસ બનીને જીવતાં જ જે મૃતાવસ્થાને અનુભવે છે એ મૃતાવસ્થા અથવા જીવંત મૃત્યુમાંથી છૂટીને જીવનને ઉજ્જવળ અને ઉત્સવમય કરે છે.
પરંતુ અંદરની અને બહારની પ્રકૃતિ પર શાસન કરતાં શીખવું એ જ જીવનનું ધ્યેય છે એવું નથી સમજવાનું. જીવનની પૂર્ણતા અને કૃતકૃત્યતાને માટે પરમપુરુષ પરમાત્માને ઓળખવાનું પણ અનિવાર્યરૂપે આવશ્યક છે. પરમાત્માનો સાક્ષાત્કાર, માનવજીવનના પરમધ્યેયની પ્રાપ્તિ જ જીવનને અમૃત બનાવી શકે તેમ છે. એ સંદેશની વાસ્તવિકતાની પ્રતિતી આધુનિક સમયમાં સારી રીતે થઇ રહે છે. સામાજિક સુધારણાના ક્ષેત્રમાં આજનો માનવ ઉત્તરોત્તર આગળ વધે છે અને અવનવા વૈજ્ઞાનિક આવિષ્કારો કરે છે. એ આવિષ્કારો દ્વારા ભૌતિક સુખોપભોગનાં સાધનોની અભિવૃદ્ધિના સફળ પ્રયોસો આદરે છે તોપણ એનો અંતરાત્મા પ્રશાંત નથી પરંતુ અશાંત છે અનું કારણ પરમાત્મપરતાનો અભાવ છે. જીવનને સાચા અર્થમાં સુખી, શાંત અને સંવાદી બનાવવા માટે પરમાત્માની સાથે સંબધ બાંધવાનું આવશ્યક છે.
ઉપનિષદમાં એની સંસ્કૃતિનો શાશ્વત સંદેશ સમાયેલો છે, અને આપણને એવી આદર્શ સર્વોપયોગી સંસ્કૃતિની આવશ્યકતા છે, જેમાં સાંસારિક સુધારણા હોય, વૈજ્ઞાનિક વિકાસનો સમાવેશ હોય, પ્રકૃતિના પ્રભુત્વને માટે સ્થાન હોય, અને સૌના મૂળાધાર પરમપુરુષ પરમાત્માનો પરિચય તથા પ્રેમ હોય. એ ઉપનિષદકાલીન સમન્વયાત્મક સંસ્કૃતિ આજે પણ ઉપયોગી અને આશીર્વાદરૂપ છે.
મારા નમ્ર મંતવ્ય મુજબ આ શ્લોક થોડોક વિશેષ વિચાર માંગી લે છે. પરંપરાગત પદ્ધતિ પ્રમાણે આ શ્લોકમાં અસંભૂતિ શબ્દનો પ્રયોગ જ નથી થયો પરંતુ તેને બદલે વિનાશ શબ્દ વપરાયો છે. વિનાશશીલ વસ્તુથી મૃત્યુની પાર પહોંચી શકાય પરંતુ સંભૂતિથી અમૃતપદની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે ? એટલે એ આખોય શ્લોક આવી રીતે વાંચવો જોઇએ.
असम्भूतिं च विनाशं च यस्तद्वेदोभयँ सह ।
विनाशेन मृत्युं तीर्त्वा असम्भूत्याऽमृतमश्नुते ॥
तीर्त्वा असम्भूत्या નું तीर्सम्भूत्या થઇ શકે.
કાર્યબ્રહ્મ પરમાત્માનું વિશાળ શરીર છે તેમ આત્માનું શરીર સીમિત છે તેને પણ સંભૂતિ કહી શકાય. શરીર વિનાશશીલ હોવાં છતાં મૃત્યુંજય થવામાં ને બંધનમુક્ત બનવામાં મદદરૂપ થઇ શકે છે. આત્માને આલોકિત કરવામાં આવે તો એ દ્વારા, એટલે કે આત્મારૂપી અસંભૂતિ દ્વારા, પરમાત્માની અનુભૂતિ કરીને અમૃતમય બની શકાય છે. એ અર્થમાં સંભૂતિ એટલે જડ તત્વ, પંચમહાભૂત, એમના સંઘાતસમાન શરીર અને અસંભૂતિ એટલે એનાથી અલગ, પરમ પ્રેરક. એ સૌને સજીવ અને આલોકિત કરનાર અલૌકિક આત્મતત્વ, પરમ ચૈતન્ય.
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् ।
तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ॥१५॥
ઉપનિષદના સુવિશાળ સાહિત્યમાં જે જુદીજુદી શ્રદ્ધા-ભક્તિપૂર્વકની પ્રાર્થનાઓ છે તેમાં આ શ્લોકમાં કરવામાં આવેલી નાની સરખી છતાં ખૂબ મહત્વની પ્રાર્થનાનો સમાવેશ કરી શકાય. આ પ્રાર્થના પ્રાણવાન અને અનોખી છે. એનો ભાવ ઘણો ગૂઢ, હૃદયસ્પર્શી છે. એમાં જીવનના સાચા સાધકના નિર્મળ અંતરોદગાર છે.
જીવનનું મૂળભૂત મહત્વનું ધ્યેય પરમાત્માની પ્રાપ્તિનું છે. એ તો અત્યાર સુધીની વિચારણા પરથી સમજાઇ ગયું. પરંતુ એ પરમાત્માની પ્રાપ્તિ થાય કેવી રીતે ? પરમાત્માનું પરમધામ જ્યોતિર્મય સૂર્યમંડળથી ઢંકાયેલું છે. એ સૂર્યમંડળમાં થઇને પરમાત્માના પરમધામમાં પ્રવેશીને પરમાત્માની પાસે પહોંચાય છે. પરમાત્માની પરમકૃપા સિવાય એવો પ્રવેશ શક્ય બનતો નથી. એનો બીજો અર્થ એવો પણ લઇ શકાય કે અહંતા, મમતા, મોહાદિ અવિદ્યા-માયાના આવરણથી પરમાત્માનું સ્વરૂપ ઢંકાયેલું છે. કબીર સાહેબે એ સંદર્ભમાં જ જણાવ્યું છે કે
'ઘૂંઘટ કા પટ ખોલ રે,  તોહે પીય મિલેંગેં.'
પ્રિયતમ પરમાત્મા તારી પાસે, ખૂબ જ પાસે, પ્રાણની પણ પાસે છે, પરંતુ તારા મુખમંડળ આગળ ઘૂંઘટ હોવાથી તને તેનું દર્શન નથી થઇ શકતું. એ ઘૂંઘટને દૂર કરી દે એટલે પરમાત્માનું દેવદુર્લભ દૈવી દર્શન સહજ બનશે.
અવિદ્યાના અતિગાઢ આવરણને દૂર કરવા માટે પરમાત્માની પ્રેમપૂર્ણ પ્રાર્થના સિવાય બીજો માર્ગ જ કયો છે ? સાધક જપ કરે છે, તપ કરે છે, સ્વાધ્યાય તથા તીર્થાટન અને અન્ય અનેક સાધનોનો અથવા અભ્યાસક્રમોનો આધાર લે છે, તોપણ છેવટે સમજે છે કે પોતાની વ્યક્તિગત શક્તિ અથવા યોગ્યતાથી એ પરમાત્માની પ્રાપ્તિ નથી કરી શકે તેમ. અસહાય બનીને આખરે એ પ્રાર્થનાનો આધાર લે છે. અને પ્રાર્થના ઉત્કટ બનતાં આખરે એને પરમાત્માની પરમશક્તિની મદદ મળે છે. એને લીધે અવિદ્યાના આવરણમાંથી મુક્તિ મેળવીને એ પરમાત્માની પાસે સહેલાઇથી પહોંચી શકે છે. એનું જીવન પરમાત્માના સાક્ષાત્કારથી સાર્થક બને છે.
પરમાત્માને માટે આ શ્લોકમાં સત્ય શબ્દનો પ્રયોગ કરાયેલો છે. એ શબ્દ ખૂબ જ સુંદર છે. એ ઉપરાંત પૂષન્ શબ્દપ્રયોગ પણ પ્રયોજાયો છે. પરમાત્મા સમસ્ત સૃષ્ટિના ધારણપોષણ કરનારા હોવાથી શરણાગત સાધક એમની દ્વારા પોતાને પર્યાપ્ત પોષણ પૂરું પાડીને એમના સાક્ષાત્કાર માટે સ્વાભાવિક રીતે જ કામના કરે છે. એથી આદર્શ, ઉત્તમ અને કલ્યાણકારક કામના બીજી ક્યી હોઇ શકે ?
પ્રાર્થનાની શક્યતા કે શક્તિ કેટલી બધી અપરિમીત છે એનો ખ્યાલ પ્રાર્થનાના એ ઉદગારો પરથી સહેલાઇથી આવી શકે છે. પ્રાર્થના જીવનો શિવ સાથે સંબધ કરાવનાર સેતુ છે, અને એનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે એમાં એની સફળતા સમાયેલી છે. પ્રાર્થનાનો આધાર આત્મવિકાસને માટે અથવા અન્યની સુખાકારી, શાંતિ તથા સમુન્નતિ માટે લેવાય એ આવશ્યક છે. એમાં જ એની શોભા છે.
पूषन्नेकर्षे यम सूर्य प्राजापत्य व्यूह रश्मीन् समूह तेजः ।
यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि ॥१६॥
આ શ્ર્લોકમાં પરમાત્માનો પરિચય જુદીજુદી રીતે કરાવવામાં આવ્યો છે. પરમાત્માને જુદાજુદા નામથી સંબોધવામાં આવ્યા છે. પરમાત્માનું કોઇ વિશિષ્ટ નામ નથી તોપણ જ્ઞાની, તપસ્વી, આરાધકો અને ભક્તજનોએ ભાવભક્તિથી પ્રેરાઇને એમને જુદીજુદી રીતે પ્રાર્થ્યા કે પોકાર્યા છે. એટલે જ વેદ અને ઉપનિષદમાં એમના અનેકવિધ નામોનું દર્શન થાય છે. અહીં એમને શરણાગત પ્રેમી ભક્તોનું પોષણ કરનારા કહ્યા છે. જે ભક્તો એમનું સ્મરણમનન કરે છે ને ધ્યાન કરે છે તે લોકોનું તે પોષણ કરે છે. પોષણ એટલે સ્થૂળ પાલનપોષણ નહિ પરંતુ પોતાના પ્રેમ અને પોતાની કૃપાનું પોષણ. ભક્તોનું સાચું મૂળભૂત પોષણ એમને ઓછુંવત્તું ધન મળે અથવા અન્ન મળે તે નથી; એમની સાંસારિક જવાબદારીઓ અને વ્યવહારિક આવશ્યકતાઓની પૂર્તિ કરવી એ પણ નથી. એમનું સાચું પોષણ તો એમની શ્રદ્ધાભક્તિની અખંડતા, સમર્પણવૃતિની પ્રબળતા અને એમના પર થનારી પરમાત્માની પરમકૃપાની વર્ષા છે. એથી અનુગૃહિત કરીને પરમાત્મા એમનું સર્વ પ્રકારે, માળીની માવજત કરતાં પણ વિશેષ માવજતથી પોષણ કરે છે જેથી એમના સાધનાત્મક જીવનના છોડ અકાળે કરમાઇ કે સુકાઇ ના જાય.
પરમાત્મા પરમપવિત્ર જ્ઞાનસ્વરૂપ છે. જે એમનું શરણ લે છે અને એમની સાથે સંબંધ બાંધે છે તેમને પરમપવિત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિ સહેલાઇથી થઇ રહે છે. એમની અવિદ્યાની આત્યંતિક નિવૃતિ સહજ બને છે.
ભક્તો તથા જ્ઞાનીઓ ભક્તિ અને જ્ઞાનનો આધાર શા માટે લે છે ? પરમાત્માની કૃપા-પ્રાપ્તિ તથા પપરમાત્માના દર્શનને માટે. એમની જીવનસાધનાનું મુખ્ય પ્રયોજન એ જ હોય છે. પરમાત્મા એટલા માટે જ ભક્તો તથા જ્ઞાનીઓના પરમધ્યેયરૂપ છે.
પરમાત્માને યમ તથા પ્રજાપત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એ સૌના નિયંતા અને પ્રજાપતિના પરમપ્રિય છે. પ્રજાપતિ બ્રહ્મા એમના જ આધારે, એમની જ શક્તિથી શ્વાસ લે છે. એ જડચેતનાત્મક સમસ્ત જગતનું નિયંત્રણ કરે છે. यो ब्रह्माणं विदधाति पूर्वं यो वेदान्प्रहिळोति तस्मै । 'જે બ્રહેમાને પહેલાં પ્રકટ કરે છે અને એમને વેદ અર્પે છે, આત્મજ્ઞાન બક્ષે છે' એવું કહીને પ્રજાપતિ બ્રહ્મા કરતાં એમની શ્રેષ્ઠતા તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે.
એ સૂર્યોના પણ સૂર્ય, પ્રકાશમય છે.
સૂર્યમંડળને દ્રષ્ટિસમક્ષ રાખીને પરમાત્માની પ્રશસ્તિરૂપે અહીં કેટલાક અનોખા ઉદગારો કાઢવામાં આવ્યા છે. સૂક્ષ્મ રીતે વિચારીએ તો પરમાત્માની ધ્યાનાદિ ક્રિયા દ્વારા સમારાધના કરનારા સાધકને પોતાની અંદર સૂર્યસદૃશ પ્રખર પ્રકાશપુંજનું કેટલીકવાર દર્શન થાય છે. એ દર્શનથી સાધક વિસ્મય પામે છે અને કોઇકવાર ભયભીત કે વિહવળ પણ બને છે. એ સૂર્યસદૃશ પ્રબળ પ્રકાશ પરમાત્માનો પોતાનો છે. એવું સમજીને સાધક એની સાથે એકતા અનુભવે છે. પોતે એનાથી અલગ નથી, અંગરૂપ છે, એવું માને છે. સ્થૂળ રીતે વિચારતાં, સૂર્યસન્મુખ બેસીને સાધનાપરાયણ બનેલો સાધક સૂર્યનાં પ્રકાશકિરણોથી અંજાઇ જઇને ઉદગારો કાઢે છે કે પ્રભુ ! આ સૂર્ય તથા સૂર્યકિરણોનાં રૂપમાં અને એની અંદરબહાર તમે જ વ્યાપક છો. તમારું આ સ્વરૂપ મારાથી જોઇ કે સહી શકાતું નથી. અર્જુને કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં ભગવાનના વિશ્વરૂપદર્શનથી જેવો ભાવ અનુભવ્યો એવો જ આ ભાવાનુભવ છે.
ઋષિ જણાવે છે કે સૂર્યની અંદર જે આત્મતત્વ છે તે પરમ પુરુષ પરમાત્માનું જ પ્રતીક છે. પરમાત્મા પોતે જ સૂર્યમાં પ્રકાશી રહ્યા છે અને એ પરમાત્મા મારી અંદર વિરાજમાન છે. એટલે સૂર્યની, મારી અને પરમાત્માની અંદર મૂળભૂત એકતા છે. ઋષિ એ અલૌકિક અનુભવ કરે છે. અને એ હકીકત સૂર્યને જ લાગુ પડે છે એવું થોડું છે ? પરમાત્માનો જે પરમ પ્રકાશ સૂર્યમાં છે તે સમસ્ત બ્રહ્માંડમાં હોવાથી સાધકે સમસ્ત બ્રહ્માંડની સાથે અભિન્ન અંતરંગ એકતાને અનુભવીને જીવનને અભય, પ્રેમ, પવિત્રતા અને નિઃસ્વાર્થ સેવાભાવનાથી સંપન્ન બનાવવાનું છે. એવા જ જીવનને સાર્થક અને ઉજ્જવળ કહી શકાય.
वायुरनिलममृतमथेदं भस्मांतँ शरीरम् ।
ॐ क्रतो स्मर कृतँ स्मर क्रतो स्मर कृतँ स्मर ॥१७॥
જીવનની વર્તમાન લીલાની પરિસમાપ્તિ ભલે કામચલાઉ વખતને માટે પણ, એકવાર તો થવાની જ છે. આ પરિવર્તનશીલ જીવનના અવનવા અભિનય પર, એના રમણીય રંગમંચ પર, એક દિવસ અચાનક જ પડદો પડી જવાનો છે. જીવનનું પ્રકૃતિના પદ્મદલ પર પડેલું ઝાકળબિંદુ એક દિવસ જ્ઞાત અથવા અજ્ઞાત રીતે ખરી પડવાનું છે. એવે વખતે સાધકની ભાવના કેવી હોવી જોઇએ ? એ ચિંતીત કે ભયભીત તો ના જ બને. વ્યર્થ વિષાદ પણ ના કરે. પંચમહાભૂતમાંથી પેદા થયેલું આ શરીર છે જ વિનાશી. એક દિવસ એ માટીમાં મળી જવાનું કે ભસ્મિભૂત થઇ જવાનું છે. એને સદાને માટે એક સરખી અવસ્થામાં નથી રાખી શકાય તેમ. તો પછી નિરર્થક શોક શા માટે કરવો જોઇએ ? જીવનને સારી રીતે સમજપૂર્વક જીવ્યાના સંતોષવાળો માનવ મૃત્યુથી ડરતો નથી. ગભરાતો પણ નથી. શરીરના પરિત્યાગનો સમય સંનિકટ આવે છે ત્યારે એને ઇશ્વરની ઇચ્છા સમજીને એ શાંત અથવા સ્વસ્થ રહે છે.
મૃત્યુને કલ્પનાની રંગોળી પૂરીને, છે એનાથી વધારે ક્લેશકારક, જટિલ, અળખામણું, અમંગલ અને ભયંકર માની લેવાની જરૂર નથી. અનિવાર્ય છે, આવવાનું જ છે, એવું સમજીને જીવનને ઉત્તરોત્તર જ્યોતિર્મય કરવા, મધુતાથી મઢવા પ્રયત્ન કરવો જોઇએ. આપણે ત્યાં નાનામોટા કેટલાય મંત્રો પ્રચલિત છે. એ મંત્રોમાં આ ઉપનિષદ બે સુંદર, સારવાહી, મહત્વના, જીવનવિકાસમાં મદદરૂપ મહામંત્રોનો ઉમેરો કરે છે.
ૐ ક્રતો સ્મરઃ, કૃત સ્મર.
માનવે મૃત્યુને યાદ રાખવું જોઇએ. અને સમજવું જોઇએ કે એક દિવસે એ આવવાનું જ છે. સંસારમાં મમત્વના કે મોહના મિનારા બાંધીને યાવચ્ચંદ્રદિવાકરૌ નથી રહેવાનું. મૃત્યુની એવી સ્મૃતિ અથવા જન્મ-મરણના અને સર્જન-વિસર્જનના મહાયજ્ઞને કરનાર પરમાત્માની સ્મૃતિ એને સંસારના પરિવર્તનશીલ પદાર્થો તથા વિષયોમાં આસક્ત થવા કે ભાન ભૂલવા નથી દેતી. જીવનના મૂળભૂત ધ્યેયને એ અહર્નિશ પોતાની નજર સમક્ષ રાખીને આગળ વધે છે. આ જીવન એક વચગાળાનો મુકામ છે એવું માનીને એનો મોહ નથી રાખતો ને મૃત્યુનો શોક પણ નથી કરતો.
કરેલાં કર્મોનું સ્મરણ કરીને આત્મનિરિક્ષણની વૃતિને વધારીને જીવનની વિશુદ્ધિના પથ પર આગળ વધવાની પણ એવી જ આવશ્યકતા છે. કરેલાં શુભાશુભ કર્મોને યાદ કરીને જીવનવિકાસની પ્રેરણા મેળવવાની છે. આ જીવનમાં પ્રવેશીને શું કરવાનું હતું અને શું કર્યું એનો વિચાર કરીને ભાવિ જીવનને સમુન્નત કરવાનો સંકલ્પ કરવાનો છે.
જે સાધકે આજીવન પરમાત્મપરાયણ બનવાનો પ્રયત્ન કર્યો હોય છે તે શરીરના પરિત્યાગના સમયે પરમાત્માની સુખદ સંનિધિની અભિલાષા રાખે છે ને જણાવે છે કે હે પ્રિયોત્તમ પરમાત્મા ! મેં તમને જીવનભર બને તેટલા વધારે પ્રમાણમાં યાદ કર્યા છે તેમ, મારા એ સત્કર્મને સ્મરીને તમે પણ મને તમારો માનીને પ્રેમપૂર્વક યાદ કરો અને અપનાવો. એથી મારું જીવન ધન્ય બનશે ને મૃત્યુ મંગલમય. જીવનની છેલ્લી ઘડીએ થયેલો તમારો મેળાપ પણ મારે માટે પરમ કલ્યાણકારક થઇ પડશે.
આ શ્લોકની ભાવનામાં ક્યાંય હતાશા નથી, ભારોભાર આશા અને શ્રદ્ધા સમાયેલ છે.

No comments:

Post a Comment